– ભાજપે સ્વ. મકરંદ દેસાઇનું ઋણ ચૂકવવા માટે તેમના દીકરા ચૈતન્યને અકોટા બેઠક ભેટ ધરી
વડોદરા : વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના આંતરીક લડાઇ આજે પરિણામલક્ષી બની હતી.સરકારમાં બે નંબરનું સ્થાન ધરાવતાં ધારાશાસ્ત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મહેસુલ મંત્રાલય છિનવાયા બાદ આજે તો જાહેર થયેલા ભાજપના ઉમેદવારોની યાદીમાંથી તેમનું રાવપુરા મત વિસ્તારમાંથી સદંતર પત્તુ કપાયુ હતુ.તેમના સ્થાને વડોદરામાં રાજકીય વનવાસ ભોગવતાં પૂર્વ મેયર,પૂર્વ સાંસદ એવા બાલુ શુકલની પસંદગી કરીને ભાજપએ મરાઠી અને બ્રાહ્મણ મતદારોને સાચવી લીધા હતા.જ્યારે વડોદરા શહેરની વિધાનસભાની પાંચ બેઠકો પૈકીની સયાજીગંજ અને માંજલપૂર બેઠક પર ઉમેદવારની હજી સુધી પસંદગી કરી શકાઇ ન હતી.વડોદરાની શહેર – વાડી વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી મનિષા વકિલને રિપીટ કરવામાં આવ્યા હતા.તેમની સામે સ્થાનીક કાર્યકરોમાં ભારે અસંતોષ રહ્યો હતો.એક તબક્કે તો થોડા સમય અગાઉ જ તેમના મત વિસ્તારમાં તેમના ફોટો સાથેના ‘ખોવાય છે’ના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
વડોદરાની અકોટા મત વિસ્તારમાં વિવાદોથી દૂર રહેલા વર્તમાન ધારાસભ્ય સીમાબેન મોહીલેનું પણ પત્તુ કપાયુ હતુ.તેમના સ્થાને જનસંઘના સમયથી ભાજપના દિગ્ગજ નેતા સ્વ.મકરંદ દેસાઇના દિકરા ચૈતન્ય દેસાઇની પસંદગી કરવામાં આવી હતી. ચૈતન્ય દેસાઇ વડોદરા મહાનગરપાલિકામાં મ્યુ. કોર્પોરેટર પણ હતા.પરંતુ ગત વખતે તેઓને ટીકીટ આપવામાં આવી ન હતી.વડોદરાની સૌથી મોટી અને અતિ મહત્વની બેઠક સયાજીગંજ પર કોઇ જ ઉમેદવારોના જાહેર કરવામાં આવ્યા ન હતા.આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ સૌ પ્રથમ ચૂંટણી ન લડનાર હોવાની જાહેરાત કરી હતી.તેમની જાહેરાત બાદ આ બેઠક પર દાવેદારોનો રાફડો ફાટી નિકળ્યો હતો.આ બેઠક પર ભરત ડાંગર,જીગર ઇનામદાર,કેયુર રોકડિયા,પરાક્રમસિંહ જાડેજા જેવા અનેક નેતાઓ દાવેદારી કરી ચૂક્યા છે.કેટલાક મહિલા આગેવાનો પણ મેદાન પર છે.વડોદરામાં બે મહિલા પૈકીની એકનું પત્તુ કપાયુ હોવાથી સયાજીગંજ બેઠક પર મહિલાની પસંદગી થાય તો નવાઇ નહી તેવી એક ચર્ચાએ ભારે જોર પકડ્યુ છે.
માંજલપૂર મત વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલના વિકલ્પ તરીકે કોઇ યોગ્ય મૂરતિયો ન મળતાં હજી સુધી નામની જાહેરાત કરવામાં આવી નથી.વડોદવાસીઓના હીત રક્ષક તરીકે જાહેર જીવનમાં રહેલા યોગેશ પટેલ છેલ્લી સાત ટર્મથી ધારાસભ્ય તરીકે જીતતા આવ્યા છે.તેઓની ઉંમર વધુ હોવાથી તેમનુ પત્તુ કાપવાનું વિચારણા થઇ રહી છે.એક તબક્કે તો સ્વૈચ્છીક નિવૃત્તિ જાહેર કરે તેવો ભાજપના કેટલાક આગેવાનો
તરફથી તેમને ગઇકાલે દબાણ પણ કરવામાં આવ્યુ હતુ.પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓથી તેમના નામની પસંદગી મોડે મોડે થતી આવી રહી હોવાનો ઇતિહાસ છે.એ રીતે આ વખતે પણ તેમનું પુનરાવર્તન કે પરિવર્તન?ના સવાલો વચ્ચે કાર્યકરો મીટ માંડીને બેઠા છે.આ બેઠક પર પણ દાવેદારોનો રાફડો છે.


