ગુજરાતમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનનો ઉપયોગ વધતાં રાજ્ય સરકારે તેની પ્રજાલક્ષી સેવાઓ ઓનલાઇન અને ડિજીટલમાં રૂપાંતરિક કરી છે પરંતુ ચોંકાવનારી બાબત એવી છે કે રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં આ સુવિધાઓ હજી પહોંચી શકી નથી, કારણ કે આ વિસ્તારોમાં નેટવર્કનો મોટો ઇસ્યુ છે.ઘણાં વિસ્તારોમાં સરકારી કચેરીઓમાં પણ નેટવર્કના અભાવે ઓનલાઇન કાર્યવાહી થઇ શકતી નથી.
સરકારી સેવાઓનો લાભ મેળવવા માટે રાજ્યના આદિવાસી વિકાસ વિભાગે એવા કેટલાક આદિવાસી વિસ્તારો આઇડેન્ટિફાય કર્યા છે કે જ્યાં મોબાઇલ ટાવરને નાંખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.સરકાર 10 કરોડના ખર્ચે 12 જિલ્લાની 14 જગ્યાએ મોબાઇલ ટાવરની સુવિધા ઉભી કરી રહી છે કે જેથી આ વિસ્તારના લોકો પણ કનેક્ટિવિટીનો લાભ મેળવી શકે.આ જિલ્લાઓની વસતી 20 ટકા છે કે જ્યાં કનેક્ટિવિટી મળી શકતી નથી.
વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સાબરકાંઠાના પોશીના,વલસાડના કપરાડા,તાપીના સોનગઢ,સુરતના ઉમરપાડા,નવસારીના વાંસદા,ભરૂચના નેત્રંગ,છોટાઉદેપુર,દાહોજના સિંગવડ,બનાસકાંઠાના દાંતા,અરવલ્લીના ભિલોડા અને મહીસાગરના સંતરામપુર તાલુકાના પસંદ કરવામાં આવેલા ગામોમાં મોબાઇલ ટાવર નાંખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ટેકનિકલ રીતે પસંદ કરવામાં આવેલા આ તાલુકાઓને આદિવાસીના શેડો વિસ્તાર કહેવામાં આવે છે.વિભાગના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે મોબાઇલ ટાવરના કામની ડિઝાઇન તૈયાર કરતી વખતે યોજનાના અમીલકરમાં સુરક્ષા અંગેના ધોરણો તેમજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્જસીની માર્ગદર્શક સૂચનાઓનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.
વિભાગે પસંદ કરેલા 12 જિલ્લાના વિસ્તારો પૈકી નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં બે-બે અને બાકીના 10 જિલ્લામાં એક-એક ટાવર લગાવવામાં આવશે. ટાવર લગાવવા માટે જરૂરી જમીન ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રને ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણના કારણે ઓનલાઇન શિક્ષણ જ્યારે આપવામાં આવી રહ્યું છે ત્યારે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ અત્યારે શિક્ષણથી વંચિત રહી જાય છે.એટલું જ નહીં કનેક્ટિવિટીના અભાવે સરકારના વિવિધ વિભાગોએ શરૂ કરેલી ડિજીટલ સેવાઓ અને યોજનાઓનો લાભ પણ આ વિસ્તારના લોકો લઇ શકતા નથી તેથી વિલંબથી પણ સરકારે આ શેડો વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી આપવાનું શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.