। તહેરાન ।
કોરોના વાઇરસથી બચવાના ચક્કરમાં અફવાઓ માનીને ઝેરી આલ્કોહોલ પીવાના કારણે ઇરાનમાં ૬૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે. આટલી મોટી સંખ્યામાં લોકોનાં મોતથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. નીટ દારૂ પીધા પછી તબિયત લથડતાં ૩૦૦૦થી વધુ લોકોને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા હતા જેમાંથી સંખ્યાબંધ લોકોની સ્થિતિ ગંભીર હોવાથી મોતનો આંકડો વધી શકે છે. ઇરાનમાં શરાબના સેવનથી કોરોના વાઇરસની બીમારીમાંથી સાજાપણું મળી જશે તેવી અફવા ફેલાયા બાદ આ ઘટના બની હતી. ઇરાન સરકારના પ્રવક્તા ઘોલામ હુસૈન ઇસ્માઇલીએ જણાવ્યું હતું કે, શરાબનું સેવન કોરોના વાઇરસનોઇલાજ નથી. કોરોના સંક્રમિત લોકોમાં શરાબનું સેવન શરીર માટે ઘણું ઘાતકી નીવડી શકે છે. અમને જરા પણ અંદાજ નહોતો કે આટલી મોટી સંખ્યામાં લોકો અફવાથી દોરાઇને ઈન્ડસ્ટ્રિયલ દારૂનું સેવન કરશે અને આટલી મોટી સંખ્યામાં લોકોનાં મોત થશે.
બે સપ્તાહ પહેલા પણ કોરોનાથી બચવા માટે ઈરાનમાં ઈન્ડસ્ટ્રિયલ દારૂનું સેવન કરતા ૩૦૦ લોકોના મોત થયા હતા. સરકારી ન્યૂઝ એજન્સી તસ્નીમના જણાવ્યા અનુસાર આ ઘટનાના સંદર્ભમાં ઘણા લોકોની ધરપકડ કરાઇ છે.