જાકાર્તા / મુંબઇ તા.૨૨ : વિશ્વના સૌથી મોટા પામ ઓઈલ ઉત્પાદક ઈન્ડોનેશિયાએ ઘર આંગણે ખાદ્યતેલોની અછત અને ફુગાવાના કારણે ભાવો ભડકે બળતાં લોકોના રસ્તા પર ઊતરી આવી આંદોલનને પગલે હવે ખાદ્યતેલો અને તેના કાચામાલની તમામ નિકાસો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.ઇન્ડોનેશિયાના આ નિર્ણયને પગલે ભારતમાં ખાદ્યતેલોના ભાવમાં ભડકો થયો છે.ખાદ્યતેલોના રીટેલ ભાવમાં કિલો દીઠ રૃ.૨ થી ૩નો ઉછાળો આવ્યાના સમાચાર હતાં.ભારત પામ ઓઇલની મોટાપાયે આયાત મલેશિયા અને ઇન્ડોનેશિયાથી કરે છે.આ નિર્ણય મુજબ ૨૮,એપ્રિલથી જ્યાં સુધી અછતની પરિસ્થિતિ દૂર ન થાય ત્યાર સુધી શીપમેન્ટ-નિકાસો અટકાવવાનો નિર્ણય લેવાયો હોવાનું ઈન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખ જોકો વિડોડોએ જણાવ્યું હતું.ઈન્ડોનેશિયામાં મોટાભાગના ખાદ્યતેલોનું ઉત્પાદન પામ ઓઈલ પ્રોડક્ટસમાંથી કરવામાં આવે છે.જોકોવીએ વધુ જણાવ્યું હતું કે, પોતે નીતિના અમલીકરણ પર સતત નજર રાખશે અને સ્થાનિક ખાદ્યતેલોની સપ્લાયની સ્થિતિ હળવી થાય અને ભાવો અંકુશમાં આવી પરવડે એવા ભાવોએ વેચાણ થાય એના પર ધ્યાન આપશે.ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશિયામાં પામ ઓઈલની નિકાસો માટે પરવાના આપવા સંબંધિત ભ્રષ્ટાચારના કેસોમાં સરકારે તપાસ કરીને ટ્રેડ મીનિસ્ટ્રીના અધિકારી અને પામ ઓઈલ કંપનીના એક્ઝિક્યુટીવો સહિત ચાર શંકાસ્પદોની સંડોવણી હોવાનું અગાઉ ઈન્ડોનેશિયાના એટર્ની જનરલે જણાવ્યું હતું.
આ દરમિયાન ઈન્ડોનેશિયામાં લોકડાઉન બાદ રમદાન તહેવારોમાં માંગમાં મોટા વધારાના કારણે અછતની પરિસ્થિતિ ઊભી થતાં ફુગાવો પણ વધી ગયો છે.ખાદ્ય ચીજોના ઊંચા ભાવોને લઈ ઈન્ડોનેશિયાના લોકો વિરોધ માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા.સરકારે રાષ્ટ્રવ્યાપી સપ્લાય જળવાય અને ભાવો અંકુશમાં રહે એ માટે રોકડ સબસીડિઓ પણ જાહેર કરવાની ફરજ પડી હતી.ઈન્ડોનેેશિયા દ્વારા નિકાસો પર પ્રતિબંધના પગલે હવે દરેક દેશો ઘર આંગણે પુરવઠા સ્થિતિ ખોરવાય નહીં અને ભાવો અંકુશમાં રહે એ માટે પગલાં લેવા માંડયા છે.આર્જેન્ટિનાએ પણ ખાદ્યતેલો નિકાસ પર અંકુશ માટે સોયાબીન ઓઈલ પરના નિકાસ વેરામાં વધારો કર્યો છે.આ દરમિયાન યુનાઈટેડ નેશન્સે દેશોને વૈશ્વિક વેપાર ચાલુ રાખવા અપીલ કરી જણાવ્યું છે કે નિકાસ પર પ્રતિબંધોથી વૈશ્વિક ભાવ વધશે.
ઉલ્લેખનીય છે કે ભારતની પામતેલની માસિક આયાત ૪.૫૦ લાખ ટન જેટલી રહે છે.પરંતુ યુક્રેન પર રશિયાના યુદ્વના પરિણામે યુક્રેનથી થતી સનફ્લાવર ઓઈલની આયાત અટકતાં ભારતની પામ ઓઈલ પરની નિર્ભરતા વધી છે અને ઈન્ડોનેશિયા, મલેશિયાથી આયાતમાં વધારો પાછલા મહિનામાં જોવાયો છે. ફેબુ્રઆરીમાં ભારતની પામ ઓઈલની આયાત૪,૫૪,૭૯૪ ટનની થઈ હતી, જેની તુલનાએ માર્ચમાં પામ ઓઈલની આયાત ૫,૫૦,૦૦૦ ટન થઈ હતી.દેશમાં માર્ચ ૨૦૨૨માં આરબીડી પામોલીનની આયાત ૭,૭૧,૨૬૮ ટન થઈ હતી.જે ગત વર્ષે સમાન મહિનામાં ૨૪૧૦૧ ટન થઈ હતી.નવેમ્બર ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ દરમિયાન ભારતમાં પામ ઓઈલની આયાત ૩૦,૯૦,૫૫૯ ટનની તુલનાએ ૨૬,૫૩,૨૫૩ ટનની થઈ હતી.નોંધનીય છે કે ભારતમાં પામ ઓઈલની ઈન્ડોનેશિયાથી નવેમ્બર ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ના તેલ વર્ષમાં સીપીઓની આયાત૫,૦૧,૦૦૪ ટન અને આરબીડી પામોલીનની ૪,૭૪,૯૦૭ ટનની થઈ હતી.જ્યારે મલેશિયાથી સીપીઓની આયાત ૧૧,૫૨,૧૯૭ ટન અને આરબીડી પામોલીનની ૨,૮૯,૩૬૧ ટનની થઈ હતી.જ્યારે થાઈલેન્ડથી ક્રુડ પામ ઓઈલની ૧,૯૪,૧૧૨ ટન અને આરબીડી પામોલીનની ૭૦૦૦ ટનની આયાત થઈ હતી.આમ છેલ્લા પાંચ મહિનામાં ભારતની ક્રુડ પામ ઓઈલની આયાત ૧૮,૪૭,૩૧૪ ટન અને આરબીડી પામોલીનની ૭,૭૧,૨૬૮ ટનની થઈ હતી.
વિશ્વ બજારમાં પણ ખાદ્યતેલો સહિતના ઓઈલના ભાવમાં તેજી આવી હતી.પામ ઓઈલના નજીકના વિકલ્પ ગણાતાં સોયાબીન ઓઈલના ભાવ ઈન્ડોનેશિયાના પ્રતિબંધના સમાચારના પગલે શિકાગોમાં ૩.૫ ટકા જેટલા વધ્યાના સમાચાર હતા.કુઆલમ્પુરમાં પામ ઓઈલના ભાવ ૦.૭ ટકા જેટલી વધીને ૬૩૫૫ રિંગિટ એટલે કે ૧૪૬૯ ડોલર બોલાયા હતા.


