– દરેકને પહેરાવ્યો પીળો પટ્ટો,ધર્મપરિવર્તન કરનારા લોકોને દરરોજ મંદિરે જવા અપીલ કરી
– હિન્દુ જાગરણ મંચે કહ્યું – મિશનરીઓના સંપર્કમાં આવતા તેમણે ધર્માંતરણ કર્યું હતું
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા બાગેશ્વર ધામમાં ચાલી રહેલા નવકુંડીય અન્નપૂર્ણા મહાયજ્ઞના સમાપન પર પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઈસાઈ ધર્મ અપનાવી ચૂકેલા આશરે 220 લોકોની સનાતન ધર્મમાં વાપસી કરાવી હતી.આ દરમિયાન શાસ્ત્રીએ આશીર્વાદ રુપે બધાને પીળો પટ્ટો પહેરાવ્યો હતો અને તેમને દરરોજ મંદિરે જવા અપીલ કરી હતી.
શાસ્ત્રીએ કર્યો આ દાવો
શાસ્ત્રીએ દાવો કર્યો કે આ લોકોએ તેમની ઇચ્છા અને મરજીથી સનાતન ધર્મમાં વાપસી કરી છે.હિન્દુ જાગરણ મંચના લોકો આ લોકોને બાગેશ્વર ધામ સુધી લઈને આવ્યા હતા.રવિવારે બુંદેલખંડ વિસ્તારના ટપરિયન,બનાપુર,ચિતૌરા અને બમ્હોરી સહિત બીજા ગામથી ઈસાઈ ધર્મ અપનાવી ચૂકેલા લોકોને છતરપુર જિલ્લાના ગઢા ગામ સ્થિત બાગેશ્વર ધામે લઈ જવાયા હતા.
હિન્દુ જાગરણ મંચે શું કહ્યું …
હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ કહ્યું કે તેમાંથી અનેક લોકો મિશનરીઓના સંપર્કમાં આવીને ઈસાઈ બની ગયા હતા અને ચર્ચ જવા લાગ્યા હતા.ઈસાઈ ધર્મ અપનાવનારા લોકોએ કહ્યું કે અમે મિશનરીઓની લાલચ અને પ્રલોભનમાં ફસાઈને ઈસાઈ બની ગયા હતા.પણ તેમણે જે વાયદા કર્યા હતા તે પૂરાં ન કર્યા એટલે હવે અમે પાછા સનાતન ધર્મમાં વાપસી કરી રહ્યા છીએ એ પણ અમારી ઈચ્છાથી.આ મામલે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે ભૂલ બધાથી થાય છે.અમે કોઈ પંથના વિરોધી નથી પણ સનાતન ધર્મથી કટ્ટર છીએ.મને લોકપ્રિયતા નથી જોઈતી.