ઉત્તર પ્રદેશમાં બધા જ મદરેસાઓમાં રાષ્ટ્રગીત ફરજિયાત થઈ ગયું છે.મદરેસા એજ્યુકેશન બોર્ડના રજિસ્ટારે તમામ અધિકારીઓને પરિપત્ર પાઠવી દીધો છે.આ નિર્ણય મદરેસા એજ્યુકેશન બોર્ડની મીટિંગમાં ૨૪મી માર્ચે લેવાયો હતો.વેકેશન પછી શરૃ થનારા તમામ મદરેસાઓમાં હવેથી રાષ્ટ્રગીત ફરજિયાત થઈ જશે.ઉત્તર પ્રદેશમાં ૧૬,૪૬૧ મદરેસા છે, એમાંથી ૫૬૦ મદરેસા સરકારી અનુદાનથી ચાલે છે.આ તમામ મદરેસાઓમાં હવે રાષ્ટ્રગાન ફરજિયાત કરી દેવાયું છે.પ્રાર્થના પહેલાં હવે તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ગવાશે. લઘુમતી મંત્રી ધરમપાલ સિંહે ગયા મહિને કહ્યું હતું કે મદરેસાઓમાં હવે રાષ્ટ્રગાન ફરજિયાત ગવાશે.તે પછી આ નિર્ણય જાહેર થયો છે.સરકારી અનુદાનથી ચાલતી, સંસ્થાઓના સહયોગથી ચાલતી કે તે સિવાયની તમામ રજિસ્ટર મદરેસામાં રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત થઈ જશે.
મદરેસા એજ્યુકેશન બોર્ડના રજિસ્ટાર એસ.એન પાંડેએ તમામ લઘુમતી બાબતોના અધિકારીઓને અને મદરેસાઓને એક પરિપત્ર મોકલી દીધો છે.રમજાનની રજા પછી ખુલનારા તમામ મદરેસાઓમાં આ નવો નિયમ લાગુ થશે. નોટિફિકેશન પ્રમાણે મદરેસા એજ્યુકેશન બોર્ડની મીટિંગ ગત ૨૪મી માર્ચે યોજાઈ હતી.તે વખતે મદરેસામાં રાષ્ટ્રગીતનું ગાન ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો હતો.
ભાજપના નેતા, યુપી સરકારના લઘુમતી કલ્યાણ બોર્ડ, મુસ્લિમ વકફ બોર્ડના અધ્યક્ષ મોહસિન રજાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.આ મુસ્લિમ નેતાએ કહ્યું હતું કે આ નિર્ણયથી બાળકોમાં દેશભક્તિ વધશે.દેશ પ્રત્યે પ્રેમ વધશે.અનુશાસન વધશે.રાષ્ટ્રના નિર્માણમાં આ યોગ્ય નિર્ણય લેવાયો હોવાનું આ નેતાએ ઉમેર્યું હતું.ટીચર્સ એસોસિએશન મદરેસા અરબિયાના મહાસચિવ દીવાન સાહબ જમાન ખાને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ઘણાં મદરેસાઓમાં રાષ્ટ્રગીત પ્રાર્થના દરમિયાન ગવાતું હતું.ખાસ તો હમ્દ (અલ્લાહ માટે) અને સલામ (પૈયગમ્બર સાહેબ માટે)નો ક્લાસ શરૃ થાય તે પહેલાં રાષ્ટ્રગીત ગવાતું હતું, પરંતુ ફરજિયાત થઈ જતાં રાજ્યના તમામ મદરેસાઓમાં હવે દરરોજ રાષ્ટ્રગીત ગૂંજશે.