દેહરાદૂન, તા. ૨૨ : ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં સુખીધાંગ દાંડામિનાર રોડ પર લગ્નમાં પરત ફરતી વખતે એક વાહન ઉંડી ખીણમાં ખાબકતા ૧૪ લોકોનાં મોત થયા છે અને બે ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.ચંપાવત જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસના જણાવ્યા અનુસાર આ અકસ્માત રાતે દસ વાગ્યે
સર્જાયો હતોે પણ સત્તાવાળાઓને આ અકસ્માતની જાણ મોડી રાતે ત્રણ વાગ્યે થઇ હતી.આ ઘટનાની જાણ થતા બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળેૈ પહોંચી ગઇ હતી.
ચંપાવતના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ દેવેન્દ્ર પિન્ચાએ પત્રકારોને જણાવ્યું હતુપં કે ૧૨ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.છેલ્લે મળેલા સમાચાર સુધી બે મૃતદેહોને બહાર કાઢવાનું કામ ચાલુ હતું.મૃતકોમાં પાંચ મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે.
ઘાયલોને તનકપુર અને ચંપાવતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર આ વાહન ધર્મશાલાના તનકપુરના દાંડા કાકનાઇ ગામમાં લગ્નમાંથી પરત ફરી રહ્યું હતું.
વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાંથી બે લાખ રૃપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૃપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાને ટ્વિટર પર આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવી હતી.તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં જે લોકોના મોત થયા છે તેમના પરિવારજનો પ્રત્યે હું શોક અને સંવેદના વ્યક્ત કરું છું.
મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોેના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.