પ્રયાગરાજ, તા. ૧૬ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં શનિવારે એક ઘરમાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.જોકે, પોલીસે આ ઓનર કિલિંગનો કેસ હોવાની શંકા વ્યક્ત કરી છે.આ ઘટના અંગે આકરી પ્રતિક્રિયા આપતાં સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી આદિત્યનાથના નેતૃત્વની ભાજપ સરકારની ટીકા કરતાં કહ્યું કે, ભાજપ શાસનમાં રાજ્યમાં ગુનાખોરી વધી ગઈ છે.નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું કે, પોલીસ તપાસ પૂરી થયા પછી આ ઘટનાનું સત્ય બહાર આવશે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં પ્રાથમિક તપાસ પરિવારના અન્ય સભ્યોની હત્યા કરીને પરિવારના વડાએ આત્મહત્યા કરી લીધી હોવાનું મનાય છે.પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અભિષેક અગ્રવાલે કહ્યું કે, રાહુલ (૪૨), તેમના પત્ની પ્રિતિ (૩૮) અને તેમની પુત્રીઓ માહિ (૧૫), પિહુ (૧૩) અને કુહુ (૧૧)ના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા.ફોરેન્સિક ટીમ અને એક ડોગ સ્ક્વોડ ઘટનાની તપાસ કરી રહ્યા છે.પ્રયાગરાજના સિનિયર પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ અજય કુમારે કહ્યું કે, પોલીસને શનિવારે સવારે ૭.૩૦ વાગ્યે ઘટનાની માહિતી મળી હતી.ઘરના માલિક રાહુલનો મૃતદેહ પંખા સાથે લટકેલો હતો.તેના શરીર પર ઈજાની કોઈ નિશાની નહોતી.રાહુલની પત્ની અને પુત્રીઓના શરીર પર તિવ્ર હથિયારથી હુમલો થયાની નિશાની હતી, જે દર્શાવે છે કે તેમની હત્યા થઈ હતી.