ઉત્તર પ્રદેશમાં મંજૂરી વિના કોઈપણ ધાર્મિક શોભાયાત્રા, જુલુસ પર પ્રતિબંધ

HM News
2 Min Read

લખનઉ, તા.૧૯ : દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં હનુમાન જન્મોત્સવ પર ફાટી નીકળેલા કોમી તોફાનોને ધ્યાનમાં લેતાં યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં પોલીસ અને વહીવટીતંત્રને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે રાજ્યમાં કાયદેસર મંજૂરી વિના કોઈપણ શોભાયાત્રા અથવા ધાર્મિક જુલુસ કાઢવામાં ના આવે.વધુમાં માત્ર પારંપરિક શોભાયાત્રા, ધાર્મિક જુલુસોને મંજૂરી અપાય.નવા આયોજનોને બિનજરૂરી મંજૂરી આપવાનું ટાળવામાં આવે.વધુમાં યોગીએ માઈકનો અવાજ ધાર્મિક પરિસરો સુધી જ મર્યાદિત રાખવાના પણ નિર્દેશ આપ્યા છે.દેશમાં ત્રીજી મેના રોજ અક્ષય તૃતિયા અને ઈદનો તહેવાર બંને એક જ દિવસે હોવાથી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અગાઉથી જ જરૂરી પગલાં લેવા પોલીસ અને વહીવટી તંત્રને નિર્દેશ આપ્યા છે.આ સાથે તેમણે ૪થી મે સુધી પોલીસ અને વહીવટીતંત્રમાં બધા જ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે અને તેમને ૨૪ કલાકમાં ફરજ પર હાજર થવા ફરમાન કર્યું છે.આ સિવાય માઈક પર અઝાન અને હનુમાન ચાલીસા વાંચવા અંગે દેશમાં શરૂ થયેલા નવા વિવાદ મુદ્દે તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે ધાર્મિક આઝાદી બધાને છે, પરંતુ માઈકનો અવાજ પરિસરની બહાર ન જવો જોઈએ.

યોગી આદિત્યનાથે રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળળી રાખવા માટે પોલીસ અને તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મહત્વપૂર્ણ બેઠક કરી હતી.તેમણે અધિકારીઓને કહ્યું કે, આગામી દિવસોમાં અનેક મહત્વપૂર્ણ તહેવારો આવે છે.રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે.ઈદનો તહેવાર અને અક્ષય તૃતિયા એક જ દિવસે આવે તેવી શક્યતા છે.વર્તમાન વાતાવરણને ધ્યાનમાં રાખતાં પોલીસે વધુ સંવેદનશીલ રહેવાની જરૂર છે.આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ હનુમાન જન્મોત્સવના રોજ અનેક જગ્યાએ શોભાયાત્રા દરમિયાન અશાંતિ ફેલાઈ હોવાની ઘટનાઓ સામે આવી હતી.યોગી આદિત્યનાથે કહ્યું કે, કોઈપણ શોભાયાત્રા અથવા ધાર્મિક જુલુસ કાયદેસરની મંજૂરી વિના કાઢવામાં ન આવે.મંજૂરી આપતા પહેલા આયોજકો પાસેથી શાંતિ-સૌહાર્દ જાળવી રાખવા સંબંધિ શપથપત્ર લેવું જોઈએ.ધાર્મિક કાર્યક્રમો નિશ્ચિત સ્થળ અને રૂટ પર જ યોજવામાં આવે.વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરનારા સામે કડકાઈથી કામ લેવામાં આવે.

દરમિયાન હુબલી હિંસામાં સંડોવાયેલા લોકો સામે ‘બુલડોઝર જેવા પગલાં’ની દક્ષિણપંથી સંસ્થાઓની માગણી વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ મંગળવારે જણાવ્યું હતું કે, હુબલીમાં હિંસામાં સંડોવાયેલા લોકો સામે વર્તમાન કાયદા મુજબ જ કાર્યવાહી થશે.જોકે, બોમ્મઈએ સંકેત આપ્યા હતા કે તોફાનો દરમિયાન જાહેર અને ખાનગી સંપત્તિને થયેલું નુકસાન તોફાની તત્વો પાસેથી વસૂલવામાં આવશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *