ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ઉપર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા

HM News
2 Min Read
  • ફેબુ્રઆરીમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંપૂર્ણ શક્યતા.અલ્હાબાદ હાઇકોર્ટે ચૂંટણી રદ કરવાનો આગ્રહ કરતાં ચૂંટણીપંચે 30મી ડિસે. આખરી  નિર્ણય લેવાની ખાતરી આપી

અલ્હાબાદ : ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતાં અલ્હાબાદ હાઇકોર્ટે દેશના ચૂંટણીપંચ સમક્ષ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને હાલ પૂરતી મોકૂફ રાખી ચૂંટણી પ્રચાર માટે યોજાતી જંગી જાહેરસભાઓ,સરઘસો અને રેલીઓને અટકાવી દેવાનો ભારપૂર્વક આગ્રહ કરતાં ચૂંટણીપંચ પણ વિમાસણમાં પડી ગયું છે.

અલબત્ત મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રએ શુક્રવારે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની ચૂંટણી અંગે આગામી સપ્તાહે આખરી નિર્ણય લેવામાં આવશે.મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રએ કહ્યું હતું કે આગામી સપ્તાહ દરમ્યાન ચૂંટણીપંચ ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે,ત્યાંની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યારબાદ જ આખરી નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ,પંજાબ,ગોવા અને મણિપુરની વિધાનસભાની ચૂંટણીઓ પણ આગામી વર્ષે માર્ચે પહેલા યોજાવાની છે,પરંતુ કોરોના વાઇરસના નવો વેરિયન્ટ એમિક્રોન જે ઝડપે સંક્રમણ ફેલાવી રહ્યો છે તેને જોતાં આ રાજ્યોમાં પણ ચૂંટણીઓ હાલ પૂરતી અટકાવી દેવાની રાજકીય વર્તુળોમાં અને સ્થાનિક સ્તરે માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે આઇઆઇટી કાનપુરના નિષ્ણાતો દ્વારા પણ આજે એમ કહેવામાં આવ્યું હતું કે ફેબુ્રઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંપૂર્ણ શક્યતા રહે છે.તે ઉપરાંત નવી દિલ્હી સ્થિત એઇમ્સના ડાયરેક્ટર ડો.ગુલેરિયાએ પણ ઓમિક્રોનના સંક્રમણ અંગે ખુબ જ સાવચેતી રાખવાની સલાહ આપી હતી.

આ અગાઉ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ચૂંટણીપંચ આચાર સંહિતા લાગુ પાડવાનુંં કામ કરે છે તો હવે રાજ્યોની ચૂંટણીઓ અંગે પમ તેણે જ નિર્ણય લેવો જોઇએ.તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે ભારતનું ચૂંટણીપંચ આદર્સ આચાર સંહિતાનો અમલ શરૂ કરે છે ત્યારે જ તેને નિર્ણય કરવાનો હોય છે કે ચૂંટણી ક્યારે યોજવી જોઇએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *