મુંબઈ : તા.23 જૂન 2022,ગુરૂવાર : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સંકળાયેલી એક સંપત્તિ સામે જનહિતની અરજી દાખલ થઈ છે.તેના દ્વારા સંપત્તિની તપાસની માગણી કરવામાં આવી છે.જોકે હજુ સુધી આ PILને સુનાવણી માટે સૂચિબદ્ધ નથી કરવામાં આવી.જે સંપત્તિ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેને કથિત રીતે મુખ્યમંત્રી ઠાકરેના પત્ની તથા શિવસેનાના ધારાસભ્ય રવિન્દ્ર વાયકરના પત્ની મનીષાએ સાથે મળીને ખરીદેલી છે.પર્યાવરણ મંત્રાલય દ્વારા મહારાષ્ટ્રના રાયગઢ ખાતે મુરૂડ તાલુકામાં આવેલી આ સંપત્તિની તપાસ કરવમાં આવે તે માટે માગણી કરવામાં આવી છે.
તે સિવાય સીએમ ઠાકરે તથા તેમના પરિવારે અલીબાગ સ્થિત પ્રોપર્ટી અંગે જે કથિત ગેરકાયદેસર કામગીરી કરી છે તેમાં ઈડી સહિતની અન્ય એજન્સીઓ દ્વારા તપાસ કરાવવાની માગણી કરવામાં આવી છે. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,ઠાકરે તથા વાયકરે ચૂંટણી માટેના સોગંદનામામાં પોતાની સંપત્તિ છુપાવી છે અને તેના પર જે બાંધકામ કરવામાં આવ્યું છે તેનું ઓછું મૂલ્યાંકન ગણાવ્યું છે. પીઆઈએલમાં નેતાઓ દ્વારા રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
દાવા પ્રમાણે આ કથિત સંપત્તિ આરક્ષિત વનક્ષેત્રમાં આવેલી છે અને તેમ છતાં રશ્મિ ઠાકરે તથા મનીષા વાયકરે પર્યાવરણ કે વન વિભાગની કોઈ મંજૂરી નથી લીધેલી.નોંધવા જેવી વાત એ છે કે,અગાઉ પણ આ પ્રકારના દાવા થયેલા છે.અરજીમાં પ્રોપર્ટીની સ્થિતિ,નિર્માણ તથા ચુકવણીના માધ્યમ સામે તપાસની માગણી કરવામાં આવી છે.


