મહારાષ્ટ્રના નાસિકમાં બીજેપી ઓફિસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે.આ પથ્થરમારો કર્યાનો આરોપ શિવસેનાના કાર્યકર્તાઓ પર લાગ્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નારાયણ રાણેના નિવેદન પર વિવાદ સર્જાતા આ ઘટના ઘટી છે. બીજી બાજુ નાસિક પોલીસ રાણેની ધરપકડ કરવા માટે નીકળી છે.જ્યારે મુંબઇમાં શિવસેનાના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને નારાયણ રાણેની ધરપકડની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
અત્રે મહત્વનું છે કે, તાજેતરમાં જ નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઇને એક નિવેદન આપ્યું હતું.આ નિવેદનમાં તેઓએ ઠાકરેની નિંદા કરવાની સાથે તેઓને ‘થપ્પડ’ પણ મારવા સુધીની વાત કહી નાખી હતી.રાણેના આ નિવેદન બાદ તેઓની પર FIR પણ દાખલ કરવામાં આવી છે.જ્યાર બાદ આજે નાસિક પોલીસ રાણેની ધરપકડ કરવા રત્નાગિરી જશે.નાસિક પોલીસ કમિશ્નર દીપક પાંડેએ નારાયણ રાણેની ધરપકડ માટેના આદેશ આપ્યાં છે જ્યાર બાદ પોલીસ ટીમ ત્યાં જવા માટે રવાના થઇ ગઇ છે.
બીજી બાજુ નારાયણ રાણે પર શિવસેનાના કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળતા નાસિકમાં બીજેપી ઓફિસ પર પથ્થરમારો કર્યો છે.જેનો વીડિયો પણ સામે આવ્યો છે.આરોપ છે કે, શિવસેનાના કાર્યકર્તાઓએ પથ્થમારો કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
રાણેએ રાયગઢમાં આપ્યું હતું નિવેદન
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ભાજપની જન આશિર્વાદ યાત્રા દરમ્યાન રાયગઢમાં આ અંગે નિવેદન આપ્યું હતું.જેની પર વિવાદ થઇ રહ્યો છે.રાણેએ કહ્યું હતું કે, CM ઉદ્ધવ ઠાકરે એવું ભૂલી ગયા હતાં કે, દેશ ક્યારે આઝાદ થયો હતો અને વર્ષ ભૂલ્યાં બાદ તેઓએ પોતાના સહયોગીને પૂછ્યું હતું.’ રાણેએ કહ્યું હતું કે, ‘આ શરમજનક છે કે, મુખ્યમંત્રીને એ પણ ખ્યાલ નથી કે આપણને આઝાદ થયે કેટલાં વર્ષ થયાં. પોતાના ભાષણ દરમ્યાન તેઓએ પાછળ ફરીને પોતાના સહયોગીને પૂછ્યું હતું.જો હું ત્યાં હોત તો તેઓને જોરદાર થપ્પડ મારી દેત.’ આ નિવેદન બાદ રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે.