નવી દિલ્હી : દેશમાં તાપમાનનો મિજાજ બદલ્યો છે.બિહારમાં અચાનક વરસાદ પડયો હતો અને આંધી ઉઠી હતી.બિહારના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ અને આંધીમાં ૨૮ લોકોનાં મોત થયા હતા. અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા.ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં તેમ જ દિલ્હીમાં ગાજ-વીજ સાથે વરસાદી ઝાપટાં પડતાં ગરમીમાં રાહત મળી છે.
બિહારના પટણા,ભાગલપુર,મુઝફ્ફરપુર,વૈશાલી,મુંગેર,જમુઈ,કટિહાર,કિશનગંજ,જહાનાબાદ,સારણ,નાલંદા જેવા જિલ્લાઓમાં વરસાદ પડયો હતો અને આંધી ઉઠી હતી.આ વરસાદી તોફાનમાં આ જિલ્લાઓમાં ૨૯ લોકોનાં મોત થયા હતા.આંધીમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.કેટલાય મકાનોને નુકસાન થયું હતું.રેલવે ટ્રેક અને અને વાહનોના માર્ગ પર વીજળીના તાર તેમ જ વૃક્ષો તૂટી જતાં ઘણાં રસ્તા બંધ થઈ ગયા હતા.ઘણી ટ્રેનને અટકાવવાની ફરજ પડી હતી.ઉ.પ્રદેશમાં પણ વરસાદને લગતી ઘટનાઓમાં જાનહાની થયાના અહેવાલો છે.
દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદની આગાહી છે,તેના કારણે દેશભરમાં તાપમાન નીચું આવશે.ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો ઉપરાંત દિલ્હીમાં ઝરમર વરસાદ પડયો હતો,તેના કારણે તાપમાનનો પારો નીચો આવ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી.દિલ્હીમાં અમુક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી હતું,તો અમુક વિસ્તારોમાં તાપમાનનો પારો ૨૮ ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. પાટનગરમાં વીક એન્ડમાં ધૂળની આંધી ઉઠે એવી પણ શક્યતા વ્યક્ત થઈ છે.જોકે,રાજસ્થાન,પંજાબ,મધ્યપ્રદેશ,ઉત્તર પ્રદેશના દક્ષિણના વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર રહ્યો હતો,તેના કારણે આસમાનમાંથી લૂ ઝરી હતી અને જનજીવન પરેશાન રહ્યું હતું.હવામાન વિભાગના કહેવા પ્રમાણે આસામ,મેઘાલય,સિક્કિમ,પશ્વિમ બંગાળ,હિમાચલ,અરૂણાચલથી લઈને રાજસ્થાન સુધી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.દક્ષિણના રાજ્યોમાં વરસાદની આગાહી છે.કેરળમાં આવતા સપ્તાહના શરૂઆતે જ દક્ષિણ-પશ્વિમી ચોમાસાનું આગમન થઈ જશે.ચોમાસાના આગમનની સાથે જ દેશભરમાં ગરમીથી રાહત પણ મળશે. આંદામાન નિકોબાર નજીક તોફાન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી દેશભરના વાતાવરણમાં પલટો આવી શકે છે.દરમિયાન અરૂણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી મૃત્યુ આંક આઠ થઈ ગયો છે.અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં ભૂસ્ખલન થયું હતું.જેમાં એક પંજાબી રેસ્ટોરન્ટ તૂટી પડી હતી.તેના કાળમાળમાંથી મૃતદેહો મળ્યા હતા.
ઉ.પ્રદેશ અને બિહારમાં આંધી સાથે ભારે વરસાદ : 29નાં મોત
Leave a Comment