અમદાવાદ : મંગળવાર,21 જુન,2022 : મંગળવારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કોરોનાના સૌથી વધુ ૧૦૮ કેસ સાથે રાજયમાં નવા ૨૨૬ કેસ નોંધાયા હતા.રાજયમાં કોરોનાથી એક પણ મોત થયુ નથી. ૧૬૩ દર્દી સાજા થયા હતા.રાજયમાં કુલ ૧૫૨૪ એકટિવ કેસ છે.આ પૈકી બે દર્દી વેન્ટિલેટર ઉપર છે.અન્ય સ્ટેબલ કન્ડીશનમાં છે.સુરત કોર્પોરેશન વિસ્તારમાં ૩૭,વડોદરા કોર્પોરેશન અને ગ્રામ્યમાં ૨૮ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા હતા.રાજયના કુલ એકટિવ કેસ પૈકી અમદાવાદમાં જ ૭૦૦થી વધુ એકટિવ કેસ નોંધાયા છે.
રાજયમાં જુન મહિનાની શરુઆતથી કોરોના સંક્રમણમાં ફરી એક વખત સતત વધારો જોવા મળી રહ્યો છે.ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને લઈ પરિસ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં ૨૦ જુને કોરોનાના ૯૭ કેસ નોંધાયાના ૨૪ કલાકમાં જ દૈનિક કેસમાં નવ કેસનો વધારો થતા મંગળવારે નવા ૧૦૬ અને ગ્રામ્યમાંનવા બે કેસ સાથે કુલ ૧૦૮ કેસ નોંધાયા હતા.સુરત કોર્પોરેશન વિસ્તારમાં ૩૭ જયારે વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં નવા ૨૨ અને ગ્રામ્યમાં છ કેસ નોંધાયા હતા.કચ્છ,મહેસાણા ઉપરાંત રાજકોટ કોર્પોરેશન વિસ્તાર અને વલસાડમાં કોરોનાના અનુક્રમે કોરોનાના નવા પાંચ-પાંચ કેસ નોંધાયા હતા.ભાવનગર અને જામનગર કોર્પોરેશન તેમજ નવસારીમાં અનુક્રમે નવા ચાર-ચાર કેસ નોંધાયા હતા.ગાંધીનગર ગ્રામ્ય અને પાટણમાં અનુક્રમે ત્રણ-ત્રણ કેસ નોંધાયા હતા.ભરુચ અને રાજકોટમાં કોરોનાના બે-બે તથા અમરેલી,આણંદ,ખેડા અને તાપીમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો હતો.રાજયમાં ૨૧ જુન સુધીમાં ૧૨,૧૫,૬૧૬ લોકોએ કોરોનાને મહાત આપી છે.
અમદાવાદ શહેરમાં માર્ચ-૨૦૨૦થી શરુ થયેલા કોરોના મહામારીના સમયથી ૨૧ જુન સુધીમાં કોરોનાના કુલ ૩,૮૬,૮૦૧ કેસ નોંધાવા પામ્યા હતા.અત્યારસુધીમાં કુલ ૩,૮૨,૩૯૪ લોકોએ કોરોનાને મહાત આપી હતી.અત્યાર સુધીમાં કુલ ૩૬૨૦ લોકોના કોરોનાથી મોત થયા છે.અમદાવાદ નદીપારના વિસ્તારમાં કોરોનાના ૫૫૦ થી વધુ એકટિવ કેસ
જુન મહિનાના આરંભથી અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે નવરંગપુરા,પાલડી સહિતના અન્ય વોર્ડમાં કોરોનાના ૨૫૦ થી વધુ એકટિવ કેસ છે.આ ઉપરાંત જોધપુર,બોડકદેવ, થલતેજ અને ઘાટલોડીયા સહિતના અન્ય વોર્ડમાં પણ ત્રણસોથી વધુ કોરોનાના એકટિવ કેસ નોંધાયેલા છે.શહેરના દક્ષિણ ઝોનમાં હાલમાં કોરોનાના કુલ ત્રીસ એકટિવ કેસ છે.આ પૈકી વટવા વોર્ડમાં ૧૧ અને મણિનગર વોર્ડમાં નવ કેસ નોંધાયેલા છે.શહેરના મધ્યઝોનમાં કોરોનાના ૧૯ એકટિવ કેસ નોંધાયેલા છે.શહેરમાં હાલમાં ૭૦૦થી પણ વધુ એકટિવ કેસ હોવાનું મ્યુનિ.ના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના છ દર્દી સારવાર હેઠળ મ્યુનિ.સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના કુલ છ દર્દી સારવાર હેઠળ છે.આ પૈકી ચાર દર્દી વોર્ડમાં જયારે બે દર્દી ઓકિસજન હેઠળ સારવાર લઈ રહ્યા છે.૨૦ જુને એસ.ટી.સ્ટેશને કરવામાં આવેલા કોરોના ટેસ્ટ પૈકી એક દર્દી કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો.૨૧ જુને એસ.ટી.સ્ટેશન ખાતે પાંચ અને રેલવે સ્ટેશન ખાતે ૧૩ લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા હતા.