એલએસી વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી ચીન સાથે સંબંધો સામાન્ય નહીં થાય: ભારત

HM News
3 Min Read

– લદાખમાં વિવાદિત સ્થળોએથી સૈન્ય પાછું ખેંચવા વાંગ યીને દોભાલની રજૂઆત
– ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે સરહદ વિવાદ સહિતના મુદ્દે ત્રણ કલાક સુધી વાર્તાલાપ થયો

નવી દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે સરહદી વિવાદ સહિતના વિવિધ મુદ્દે ત્રણ કલાક સુધી વાતચીત થઈ હતી.એ દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એલએસીનો વિવાદ ઉકેલાશે નહીં ત્યાં સુધી ભારત-ચીન વચ્ચે સંબંધો સામાન્ય થશે નહીં.ભારત ચીન સાથે સંબંધો સ્થિર કરવા માગે છે,પરંતુ એ માટે સરહદે શાંતિ સ્થપાય તે જરૂરી છે.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે પણ ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી.દોભાલે વિવાદિત સ્થળોએ સૈન્યને પાછું ખેંચવાની રજૂઆત કરી હતી.

ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની મુલાકાતે આવ્યા હતા.ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સાથે બેઠક થઈ હતી.બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે ત્રણેક કલાક સુધી સરહદ વિવાદ,દ્વિપક્ષીય વેપાર,આંતરરાષ્ટ્રીય સ્થિતિ,યુક્રેન-રશિયા યુદ્ધ સહિતના મુદ્દે વાતચીત થઈ હતી.

બંને વચ્ચેની મુલાકાત પછી ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું : અમે સરહદી વિવાદ,યુક્રેન,તાલિબાન,અફઘાનિસ્તાન સહિતના મુદ્દે સંવાદ કર્યો હતો. ભારતે ચીન સાથેના સંબંધો બાબતે સ્પષ્ટ વલણ બતાવીને છે કે ભારત ચીન સાથે સંબંધો સ્થિર કરવા માગે છે,પરંતુ તે પહેલાં સરહદે વિવાદ ઉકેલવો જરૂરી છે.એલએસી પર શાંતિ ન સ્થપાય અને સરહદી વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય થાય તેમ નથી.

ભારતના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે સરહદી વિવાદ ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે,પરંતુ એ બહુ જ ધીમી ગતિએ ચાલી રહ્યા છે.તેને ઝડપી બનાવીને વિવાદ ઉકેલવો પડશે.બંને દેશોના વિદેશી સંબંધો યુએનના આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે હોવા જોઈએ.બંને દેશો વચ્ચે આંતરિક સુલેહ અને સન્માન જરૂરી છે.યુક્રેન-રશિયા બાબતે પણ બંને દેશોએ તેનો ઉકેલ રાજદ્વારી રીતે લાવવાની હિમાયત કરી હતી અને યુદ્ધવિરામ થાય તેના ઉપર ભાર મૂક્યો હતો.

વાંગ યીએ પાકિસ્તાનમાં કાશ્મીર બાબતે જે નિવેદન આપ્યું હતું તે મુદ્દે પણ ભારતે વિરોધ નોંધાવ્યો હતો.ભારતના વિદેશ મંત્રીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે વાંગ યીને એ વાતની જાણકારી આપવામાં આવી હતી કે કાશ્મીર બાબતે ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે.એમાં અન્ય કોઈ દેશના નિવેદનોનો પ્રભાવ પડવા દેવાશે નહીં.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સાથે પણ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વાતચીત કરી હતી.અજિત દોભાલે લદાખના વિવાદિત સ્થળોએ સંપૂર્ણ રીતે ચીનનું લશ્કર પાછું ખેંચાય તેવી રજૂઆત કરી હતી.ભારત-ચીન વચ્ચે લદાખ સરહદે સ્ટેન્ડ ઓફની સ્થિતિ સર્જાઈ તે પછી સૈન્ય અધિકારીઓ વચ્ચે ૧૫ બેઠકો થઈ ચૂકી છે,પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી.એ બાબતે ભારતે ચીનના વિદેશ મંત્રી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *