- હાલની સ્થિતિમાં દેશમાં 650થી વધુ લોકો ઓમિક્રોનથી સંક્રમિત
નવી દિલ્હી,તા.29 ડિસેમ્બર,બુધવાર : કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના વધતા સંક્રમણને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંત્રી પરિષદ સાથે મહત્વની બેઠક કરશે.આ બેઠક સાંજે 4:00 વાગ્યે થવાની સંભાવના છે.મળતી માહિતી પ્રમાણે બેઠકમાં બધા મંત્રી સામેલ થશે.એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે,આ સમય દરમિયાન પીએમ આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરશે અને ઓમિક્રોનના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરશે.
આ અગાઉ પણ પીએમ મોદી ગુરૂવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી ચૂક્યા છે.આ બેઠકમાં પીએમએ અધિકારીઓને વધુ સાવધાની રાખવાની સલાહ આપી હતી.પીએમએ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે,ડેલ્ટાની સરખામણીમાં 3 ઘણો વધારે સંક્રમણ ફેલાવનાર ઓમિક્રોનનો સામનો કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અને જિલ્લા અને તાલુકા સ્તરે પણ તકેદારી રાખવી જોઈએ.
અત્યાર સુધીમાં 21 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યું છે સંક્રમણ : દેશમાં ઓમિક્રોન ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.સ્થિતિ એ છે કે આ સંક્રમણ જોત-જોતા જ 21 રાજ્યોને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો છે.હાલની સ્થિતિમાં દેશમાં 650થી વધુ લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે.દિલ્હી અને મહારાષ્ટ્રમાં સંક્રમણ સૌથી વધારે છે.
જાન્યુઆરીથી લાગશે પ્રિકોશન ડોઝ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમિક્રોનના કેસોને ધ્યાનમાં રાખી ફ્રંટ લાઈન વર્કર્સ અને વૃદ્ધો માટે પ્રિકોશન ડોઝની જાહેરાત કરી છે.આ પ્રિકોશન ડોઝ 10 જાન્યુઆરીથી લાગવાનું ચાલું થશે.બીજી તરફ 15થી 18 વર્ષ સુધીના કિશોરો માટેની વેક્સિનને પણ મંજૂરી આપી દીધી છે.