– માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર આખા શહેરમાં ફર્યો પણ વેન્ટિલેટર ન મળતા મોત નીપજ્યું
– ગ્રામ પંચાયતમાંથી શબવાહિની ન અપાઈ, સ્મશાનમાંથી ચાવી આપી અંતિમ સંસ્કાર કરી લેવા કહ્યું
સુરત : સુરત શહેર સાથે જિલ્લામાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે આ મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોવાનો ઘણા કિસ્સા સામે આવ્યા છે.દરમિયાન ઓલપાડનો એક કિસ્સો સામે આવ્યો છે.માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર આખા શહેરમાં ફર્યો પણ વેન્ટિલેટર ન મળતા મોત થયું હતું.જ્યારે ગ્રામ પંચાયતમાંથી પુત્રને શબવાહિની ન આપવામાં આવતા લારીમાં માતાનો મૃતદેહ લઈ જવાની નોબત આવી હતી.
સુરત જિલ્લાના ઓલપાડમાં રહેતા પરીમ શાહે જણાવ્યું હતું કે, માતા ભદ્રાબેન શાહે ગત રોજ શ્વાસની તકલીફ થઈ હતી.જેથી આખા શહેરમાં વેન્ટિલેટર માટે રખડ્યો હતો.જોકે, વેન્ટિલેટર મળ્યું ન હતું.દરમિયાન સાંજે સાત વાગ્યે માતાનું મોત નીપજ્યું હતું.સાત વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અંતિમવિધિ માટે રઝળપાટ કર્યો હતો.
પરીમ શાહે વધુમાં જણાવ્યું હતું કે, માતાને શ્વાસની તકલીફ હોવાથી કોરોના હોવાનું લાગી રહ્યું છે.જેથી લોકોની સેફ્ટી માટે રાત્રે જ અંતિમસંસ્કાર કરવા ઈચ્છતા હતા.જેથી સ્મશાનનો સંપર્ક કર્યો હતો.પહેલાં તો સ્મશાનની ચાવી ન હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું.ત્યારબાદ સ્મશાનના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા ત્રણ કલાકે માત્ર સ્મશાનની ચાવી આપવામાં આવી હતી. આ સાથે ગ્રામ પંચાયત પાસે શબવાહિની મેળવવા પ્રયાસ કર્યો હતો પણ તે પણ મળી ન હતી.
પરીમ શાહે વધુમાં જણાવ્યું હતું કે, અમે પરિવારજનોએ તમામ સેફ્ટીનું ધ્યાન રાખી માતાના મૃતદેહને પ્લાસ્ટિકથી કવર કરી લોકોની સેફ્ટીનું પણ ધ્યાન રાખ્યું છે.જોકે, તંત્રને કોઈ પડી ન હોય તેમ માનવતા મરી પરવારી છે.સ્મશાનની ચાવી અઢી કલાકે આપી છે.જેથી રાત્રે જ હાથ લારીમાં માતાને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો.