। મેલબોર્ન ।
ચીનના વુહાનમાંથી સમગ્ર વિશ્વમાં પ્રસરી ગયેલા કોરોના વાઇરસને પરાસ્ત કરવા દુનિયાભરના વૈજ્ઞાનિકો આકાશ પાતાળ એક કરી રહ્યાં છે. કોરોના વાઇરસ વિશ્વ અને માનવજાત માટે તદ્દન નવો હોવાથી તેનો નાશ કરી શકે તેવી કોઇ દવા કે રસી હજુ સુધી ઉપલબ્ધ નથી. જોકે હવે આશાનું કિરણ પ્રગટયું છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો કોરોના વાઇરસના સંક્રમણનો ઇલાજ શોધવાની ઘણા નજીક પહોંચી ગયાં છે.
ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોની લેબમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા કોષને ૪૮ કલાકમાં જ નાબૂદ કરવામાં સફળતા મળી હોવાનો દાવો કરાયો છે. સંશોધકોએ શોધી કાઢયું છે કે દુનિયામાં પહેલેથી શોધાયલી એક એન્ટિપેરેસાઇટ ડ્રગ એટલે કે પરોપજીવીઓને મારતી દવા કોરોના વાઇરસનો નાશ કરવા સક્ષમ છે. કોરોના વાઇરસના સંક્રમણના ઇલાજની દિશામાં આ એક મોટી સફળતા છે. હવે ક્લિનિકલ ટ્રાયલનો રસ્તો ખૂલી શકે છે.
એન્ટી વાઇરલ રિસર્ચ જનરલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર ઇવરમેક્ટિન નામની દવાનો ફક્ત એક ડોઝ કોરોના વાઇરસ સહિત તમામ વાયરલ આરએનએનો ૪૮ કલાકમાં નાશ કરી શકે છે. જો ઓછો ચેપ લાગ્યો હોય તો વાઇરસ ૨૪ કલાકમાં જ નાશ પામશે.
જિનેટિક મટિરિયલમાં રિબો ન્યુક્લિઇક એસિડ ધરાવતા વાઇરસને આરએનએ વાઇરસ કહેવાય છે. આ સ્ટડી ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના કાઇલી વેગસ્ટાફ અને અન્ય વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો છે. જોકે વેગસ્ટાફે ચેતવણી આપી છે કે આ અભ્યાસ પ્રયોગશાળામાં કરાયો છે તેથી તેની હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ કરવી જરૂરી છે.
ચીનમાં કોરોના વેક્સિનની ૧૪ લોકો પર સફળ અજમાયશ
કોરોના વાયરસથી પરેશાન ચીને કોવિડ-૧૯ માટે તૈયાર કરેલી વેક્સિનની ક્લીનિકલ અજમાયશ ૧૭ માર્ચના રોજ શરૂ કરી હતી. ચીને માનવીઓ પર કરેલા પરીક્ષણના પોઝિટિવ પરિણામો સામે આવવા લાગ્યા છે. ચીને ક્લીનિકલ અજમાયશ માટે કુલ ૧૦૮ લોકો પર પસંદગી ઉતારી હતી. સ્વૈચ્છિક રીતે જે લોકો પરીક્ષણમાં જોડાયા હતા તે પૈકી ૧૪ની પરીક્ષણ મુદત પુરી થઇ ચુકી હતી. ૧૪ દિવસ ક્વોરેન્ટાઇનમાં રહ્યા પછી તેમને ઘેર મોકલવામાં આવ્યા હતા. વેક્સિન અજમાયશ ચીનના વુહાન શહેરમાં શરૂ થઇ હતી. પરીક્ષણ પછી જોવા મળ્યું છે કે જે ૧૪ લોકોને ઘેર મોકલવામાં આવ્યા હતા તે હવે સંપુર્ણ રીતે સુરક્ષિત અને તંદુરસ્ત છે.
શું છે એન્ટિપેરેસાઇટ ડ્રગ ઇવરમેક્ટિન
સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, એન્ટિપેરેસાઇટ ડ્રગ ઇવરમેક્ટિન પહેલાથી ઘણા રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. એચઆઇવી, ડેન્ગ્યૂ, ઝિકા વાઇરસ જેવા તમામ વાઇરસ સામે આ દવા અત્યંત અસરકારક સાબિત થઇ છે.
શું ઇવરમેક્ટિન દવાઓ કોરોના પર કારગર સાબિત થશે?
ઘણા રોગોની સારવારમાં ઇવરમેક્ટિનનો મોટાપાયે ઉપયોગ થાય છે અને આ દવાને અત્યંત સુરક્ષિત મનાય છે. હવે એ જોવાનું રહે છે કે, આ દવાનો ડોઝ માનવ શરીરમાં કોરોના વાઇરસ સામે કારગર સાબિત થાય છે કે નહીં. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, અન્ય વાઇરસની જેમ કોરોના સામે પણ આ દવા કારગર સાબિત થઇ શકે છે.
ક્લિનિકલ ટ્રાયલ બાદ ચિત્ર સ્પષ્ટ થશે
સ્ટડીના સહસંશોધક લિયોન કેલીએ જણાવ્યું હતું કે, અત્યારે માત્ર લેબ ટેસ્ટ જ કરવામાં આવ્યા છે. આગળ હજી ઘણા તબક્કામાંથી પસાર થવાનું છે. હજુ આ દવાનું કોરોના વાઇરસ પર પ્રીક્લિનિકલ ટેસિટંગ અને ક્લિનિકલ ટ્રાયલ્સ બાકી છે. આ બધા ચરણોમાં સફળતા મળ્યા બાદ નક્કી કરાશે કે ઇવરમેક્ટિનનો કોરોનાની સારવારમાં ઉપયોગ થઇ શકે કે કેમ?