– શરદ પવારે કહ્યું – ઔરંગાબાદમાં કોઈએ ઔરંગઝેબનું પોસ્ટર બતાવ્યું તો પૂણે અને કોલ્હાપુરમાં શા માટે વિરોધ થઈ રહ્યો છે?
– દેખાવો દરમિયાન બંધ દુકાનો ઉપર પણ પથ્થરમારો કરાતા પોલીસે લાઠીચાર્જ કર્યો
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિન્દુવાદી સંગઠનો તરફથી આયોજિત વિરોધ માર્ચના સમયે પોલીસ તરફથી સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.આ માર્ચ કેટલાક મુસ્લિમ યુવકો તરફથી સોશિયલ મીડિયા પર ઔરંગઝૈબ સંબંધિત સ્ટેટસ મૂકવાના વિરોધમાં યોજવામાં આવી હતી.અમુક દેખાવકારોની પોલીસે ધરપકડ કરી લીધી છે.બે સમુદાય વચ્ચે તણાવની સ્થિતિને જોતા તંત્ર વચ્ચે કલમ 144 લાગુ કરવામાં આવી હતી.હિન્દુવાદી સંગઠનોએ બંધનું આહ્વાન પણ કર્યું હતું.
બંધનું કરાયું હતું આહ્વાન
હિન્દુવાદી સંગઠનોએ હિન્દુઓને છત્રપતિ શિવાજી ચોકમાં જમા થવા આહ્વાન કર્યું હતું.સવારે 9 વાગ્યાથી જ વિરોધ માર્ચમાં સામેલ થવા માટે લોકોની ભીડ એકઠી થવા લાગી હતી.ધીમે ધીમે ભીડ વધતી ગઈ અને તણાવપૂર્ણ સ્થિતિ થવા લાગી.તેના બાદ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.મહારાષ્ટ્રના ગૃહવિભાગે પોલીસને આદેશ આપ્યો કે જલદીથી જલદી સ્થિતિને કાબૂમાં લેવામાં આવે.
હિન્દુવાદી સંગઠનો કેમ કરી રહ્યા છે દેખાવ?
કોલ્હાપુરના દેખાવો પહેલા રવિવારે છત્રપતિ સંભાજીનગરમાં અમુક યુવકોએ જૂલુસ દરમિયાન ઔરંગઝૈબના પોસ્ટર લહેરાવ્યા હતા.તેના પછી કોલ્હાપુરમાં અમુક યુવકોએ સોશિયલ મીડિયા પર સ્ટેટ મૂક્યો હતો અન તેમાં ઔરંગઝૈબની તસવીરો પણ હતી. હિન્દુવાદી સંગઠનોએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી અને આવા લોકોની ધરપકડની માગ કરી દીધી.જેના પછી કોલ્હાપુર બંધનું આહ્વાન પણ કરાયું.
દેખાવકારોએ બંધ દુકાનો પણ કર્યો પથ્થરમારો તો પોલીસે કર્યો લાઠીચાર્જ
આજે સવારે જ્યારે હિન્દુવાદી સંગઠનોના આહ્વાન પર ભીડ એકઠી થઈ રહી હતી ત્યારે સ્થિતિ તણાવપૂર્ણ થઈ.કોલ્હાપુર બંધ હોવાને કારણે દુકાનો બંધ હતી.પણ હિન્દુવાદી સંગઠનોના દેખાવકારોએ બંધ દુકાનો પર પથ્થરમારો શરૂ કરી હતી.સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ તરફથી લાઠીચાર્જ કરાયો અને અમુક દેખાવકારોની ધરપકડ કરી લેવામાં આવી.
પોલીસ પ્રશાસને આ દલીલ આપી, બંને સમુદાયોને શાંતિની અપીલ કરી
કોલ્હાપુર પોલીસના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કર્ફ્યુ પહેલેથી જ લાદવામાં આવ્યો છે અને વાંધાજનક પોસ્ટ કરનારા બે લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે,ત્યારે પણ વિરોધ કૂચ શા માટે કરવામાં આવી રહી છે.જેના કારણે તણાવ વધવાની શક્યતા છે.કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી.
ઔરંગઝેબનું મહિમામંડન સહન નહીં કરીએ : ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે કે ઔરંગઝેબના મહિમામંડનને સાંખી લેવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ ઔરંગઝેબની પ્રશંસા કરવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો છે. અમે તેની તપાસ કરાવી રહ્યા છીએ. ઓછામાં ઓછું અમને એ તો ખ્યાલ છે કે આની પાછળ કોણ છે? પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં ઔરંગઝેબના મહિમામંડનને સાંખી લેવામાં આવશે નહીં તે નિશ્ચિત છે.
ધાર્મિક સૌહાર્દ બનાવવાને બદલે સરકાર માહોલ બગાડનારાઓને ઉશ્કેરી રહી છે : પવાર
આ મુદ્દે શરદ પવારે શિંદે-ફડણવીસ સરકારને ભીંસમાં મૂકતાં કહ્યું કે સરકારનું કામ ધાર્મિક સૌહાર્દ જાળવવાનું છે,પરંતુ ભાજપ બે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરનારાઓને ભડકાવી રહી છે.ઔરંગાબાદમાં કોઈએ ઔરંગઝેબનું પોસ્ટર બતાવ્યું તો પૂણે અને કોલ્હાપુરમાં શા માટે વિરોધ થઈ રહ્યો છે?