બાબા રામદેવે દાવો કર્યો છે કે મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.મહિલાઓ પર આપેલા વિવાદિત નિવેદનને કારણે બાબા રામદેવ હાલ ખુબ જ ચર્ચામાં છે.તેમણે કહ્યું હતું કે મહિલાઓ સાડી પહેરે તો પણ સુંદર લાગે છે,સલવાર-કુર્તા સાથે પણ સરસ લાગે છે અને કંઈ ન પહેરે તો પણ સુંદર જ દેખાય છે.આવા વિવાદિત નિવેદનને કારણે તેમને ઘેરવામાં આવ્યાં હતાં.તેમજ દેશવાસીઓ દ્વારા પર આ નિવેદનની નિંદા કરવામાં આવી.રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરે આ અંગે તેમને નોટિસ પણ મોકલી હતી.ત્યાર બાદ બાબા રામદેવે મહિલા આયોગની નોટિસનો જવાબ આપ્યો છે.જાણીએ કે બાબા રામદેવનું આ સમગ્ર વિવાદ અંગે શું કહેવું છે.
બાબા રામદેવે દાવો કર્યો છે કે મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.તેમણે એ પણ કહ્યું કે જો મારા શબ્દોને કારણે કોઈની ભાવનાને ઠેંસ પહોંચી હોય તો તે માફી માંગે છે.પોતાના પત્રમાં બાબા રામદેવે કહ્યું કે હું હમેંશા મહિલા સશક્તિકરણની દિશામાં કામ કરું છું.મહિલાઓને સમાજમાં સમાન હક મળે તે માટે પ્રયાસ કરું છું. તેમણે ઉમેર્યુ કે, `મહિલાઓનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો.થાણેમાં આયોજીત કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણના કાર્યક્રમમાં જોડાયો હતો.ઘટનાના થોડા સમય બાદ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.જેને લીધે મારી વાતોનો ખોટો અર્થ દર્શાવવમાં આવ્યો.પરંતુ જો આનાથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું.`
થાણેમાં નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બાબા રામદેવે મહિલાઓ પર નિવેદન આપતાં કહ્યું હતું કે મહિલાઓ જ્યારે સાડી પહેરે છે ત્યારે સુંદર લાગે છે.તે સલવાર-કુર્તામાં પણ સરસ દેખાય છે.મહિલાઓ કંઈ પહેર્યા વિના પણ ખુબ સુંદર લાગે છે.તેમના આ નિવેદન પર લોકો દ્વારા કડક પ્રતિક્રિયા આવી રહી હતી.ત્યારે બાબા રામદેવે મહિલાઓની માફી માંગતા કહ્યું કે મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.