– સેન્સેક્સ 1546 પોઇન્ટ તૂટીને 57491,નિફ્ટી 468 પોઇન્ટ ગબડી 17149 : પાંચ દિવસમાં રોકાણકારોએ રૂા.20 લાખ કરોડ ગુમાવ્યા બીએસઇમાં 885 શેરોમાં મંદીની સર્કિટ લાગી : 3106 શેરો નેગેટીવ બંધ
અમદાવાદ : વિશ્વભરમાં ઓમિક્રોનના વધતા કેસ,સતત વધતો ફુગાવો,યુએસ ફેડરલ દ્વારા સંભવિત વ્યાજદર વધારો તેમજ યુક્રેન મામલે રશિયા-અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં આજે પ્રચંડ કડાકો નોંધાયો હતો.વૈશ્વિક બજારોની નરમાઈએ બળતામાં ઘી હોમ્યું હતું.
એકધારી વેચવાલીના પગલે આજે સેન્સેકસમાં 1546 અને નિફ્ટીમાં 468 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.પ્રતિકૂળ અહેવાલો પાછળ છેલ્લા પાંચ દિવસથી સેન્સેક્સમાં ગાબડા નોંધાતા રોકાણકારોની સંપત્તિમાં રૂા. 19.50 લાખ કરોડનું જંગી ધોવાણ થવા પામ્યું છે.
વિશ્વના મોટા ભાગના દેશોમાં ઑમિક્રોનના કેસ વધતા અમલી બનેલા પ્રતિબંધોના કારણે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવાની ભીતિ વૈશ્વિક સ્તરે સતત વધતી મોંઘવારીની બીજી તરફ અમેરિકામાં વ્યાજદરમાં સંભવિત વૃદ્ધિ સહિતના પ્રતિકૂળ અહેવાલોની ભારત સહિત વિશ્વભરના બજારો પર પ્રતિકૂળ અસર જોવા મળી છે.
આ ઉપરાંત ઘરઆંગણે આગામી બજેટમાં લોંગટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો દર અને સમયગાળામાં વધારો થવાની સંભાવનાની બજાર પર પ્રતિકૂળ અસર થઈ હતી.
આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજના પ્રારંભથી જ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણ પાછળ સેન્સેક્સ ઇન્ટ્રાડે 2000 પોઇન્ટ તૂટીને 56984 સુધી ખાબક્યા બાદ નીચા મથાળે લેવાલી નીકળતા બાઉન્સબેક થઈ કામકાજના અંતે 1545.67 પોઇન્ટના કડાકાએ 57491.51ના મથાળે બંધ રહ્યો હતો.
એનએસઇ ખાતે પણ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે નિફ્ટી ઇન્ટ્રાડે 16997 સુધી ખાબકી કામકાજના અંતે 468.05 પોઇન્ટ તૂટી 17149.10ના મથાળે બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં આજે કડાકો બોલી જતા રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂા. 9.13 કરોડનું ધોવાણ થતાં રૂા. 260.52 લાખ કરોડ રહ્યું હતું.છેલ્લા પાંચ દિવસમાં સેન્સેક્સમાં 3817.40 પોઇન્ટનું ગાબડું નોંધાયું છે.જેના પગલે પાંચ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. 19.50 લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું છે.છેલ્લા પાંચ દિવસમાં નિફ્ટી 1159 પોઇન્ટ તૂટયો છે.
ડાઉજોન્સમાં 1000 પોઇન્ટનું ગાબડું
અમેરિકી શેરબજારો પણ તૂટયા હતા.આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સ 1053 પોઇન્ટ તૂટીને 33233,નાસ્ડેક 495 પોઇન્ટ તૂટી 13273 અને એસજીએક્સ નિફ્ટી 282 પોઇન્ટ તૂટીને 16775 ઉતરી આવ્યો હતો.
બજાર વધુ તૂટે તેવા એંધાણ
યુએસ ફેડરલ દ્વારા આગામી સમયમાં વ્યાજદરમાં વધારો કરાશે તે સાથે લિક્વિડિટીમાં પણ ઘટાડો થશે.આ ઉપરાંત વિદેશી રોકાણકારો પણ ઘરઆંગણે રોકાણ વાધારશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.ગત તા.3 જાન્યુઆરી પછી એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 10.9 ટકા તૂટયો છે.જે સૂચવે છે કે બજારમાં ટેક્નિકલ કરેક્શન શરૂ થઈ ગયું છે.જેથી આગામી સમયમાં બજાર વધુ તૂટે તેવી શક્યતા છે.