ઉદયપુર : ભાજપના નેતા નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ તેલીની જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી.આ હત્યાકાંડ પાછળ આતંકીઓ જવાબદાર હોવાની શક્યતાઓ છે.સાથે જ તપાસમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવ્યું છે.હાલ આ સમગ્ર મામલાની તપાસ એનઆઇએ દ્વારા કરવામાં આવી રહી છે.દરમિયાન કન્હૈયાલાલના પીએમ રિપોર્ટમાં હત્યા કેવી રીતે કરાઇ તેના ઘણા ખુલાસા થયા છે.
પીએમ રિપોર્ટમાં હત્યારાઓની ક્રૂરતા સામે આવી છે.ધારદાર હથિયારથી કન્હૈયાલાલને ચાકુના ૨૬ ઘા મારવામાં આવ્યા હતા.જ્યારે તેના શરીર પર ૧૩ કટના ઉંડા ઘા પણ મળી આવ્યા છે.જેમાં મોટા ભાગના ગર્દનની આસપાસ છે.રિપોર્ટ મુજબ કન્હૈયાલાલનું માથુ ધડથી અલગ કરી દેવાનો પુરો પ્રયાસ હત્યારાઓએ કર્યો હતો.જ્યારે કન્હૈયાની બહેને માગણી કરી છે કે મારા ભાઇની જે રીતે હત્યા કરી દેવામાં આવી તેવી જ રીતે હત્યારાઓને કાપીને મારી નાખવામાં આવે.બીજી તરફ કન્હૈયાલાલને ભારે હૈયે લોકોએ અંતિમ વિદાય આપી હતી,તેના અંતિમસંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
ચકચારી હત્યાકાંડની તપાસ રાજસ્થાન સરકાર દ્વારા એનઆઇએને સોપી દેવામાં આવી છે.રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેંદ્ર યાદવે જણાવ્યું હતું કે આ મામલો બે ધર્મોની લડાઇનો નહીં પણ આતંકી હુમલો છે. બેમાંથી એક આરોપી ગૌસ મોહમ્મદ વર્ષ ૨૦૧૪-૧૫માં પાકિસ્તાનના કરાચી જઇને ૪૫ દિવસ સુધી આતંકી તાલિમ લઇને આવ્યો હતો.જે બાદ ૨૦૧૮-૧૯ દરમિયાન ગૌસ મોહમ્મદ અરબ દેશોમાં પણ ગયો હતો.ગયા વર્ષે તેનું એક લોકેશન નેપાળ સાથે પણ જોડાયેલુ છે.તેથી હત્યારાઓનું કનેક્શન સીધુ પાકિસ્તાન સાથે હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.
હત્યારા ગૌસ મોહમ્મદ અને રિયાઝ અબ્બાસ સતત પાકિસ્તાનના સંપર્કમાં હતા.બન્ને પાકિસ્તાનના આઠથી દસ નંબરો પર વાત કરતા હતા.મંત્રી રાજેંદ્ર યાદવે કહ્યું હતું કે વિદેશમાં બેઠેલા આતંકીઓ આ હત્યાકાંડથી ભારતમાં હિન્દૂ અને મુસ્લિમો વચ્ચે હિંસા ભડકાવવા માગતા હતા.આ જઘન્ય અપરાધની સજા ફાંસીની ઓછી ન હોઇ શકે.રાજસ્થાનના ડીજીપી એમએલ લાઠરે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે યુએપીએ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.એક હત્યારો દાવત-એ-ઇસ્લામી નામની સંસ્થા સાથે જોડાયેલો છે.ઉત્તર પ્રદેશના કાનપુર અને દિલ્હી,મુંબઇમાં આ સંસ્થાના કેન્દ્રો આવેલા છે.