વલસાડ, 30 જૂન : ગ્રામ પંચાયત કપરાડાએ કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે અજીબ જાહેરનામું બહાર પાડ્યું છે.જ્યાં સુધી કોરોના વાઇરસનું સંક્રમણ ખતમ ન થાય ત્યાં સુધી ઠંડા પીણાના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કોઈ ઠંડા પીણાનું વહેંચાણ કરતા પકડાશે તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગ્રામ પંચાયત દ્વારા 2100 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે.
વલસાડ હાલ દેશમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે દરેક સ્થળે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.આ અંતર્ગત વલસાડ જિલ્લામાં આવેલી ગૃપ ગ્રામ પંચાયત કપરાડાના સરપંચ દ્વારા પંચાયતની હદમાં આવતા દુકાનદારોને એક નોટિસ મોકલવામાં આવી છે.
ગૃપ ગ્રામ પંચાયત કપરાડાએ કોરોનાના અનલોક-1માં નવુ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. કોઈપણ આરોગ્ય કે અન્ય કોઈ પણ સ્થળે એવો કોઈ ઉલ્લેખ નથી કે કોરોના ઠંડા પીણાથી જ થાય છે કે,ચિકન મટન ખાવાથી થાય છે.તેમ છતાં ગ્રામ પંચાયત કપરાડા દ્વારા દરેક દુકાનદારોને નોટિસ આપીને ઠંડા પીણાંનું વેચાણ બંધ કરી દેવા તેમજ મચ્છી,ચિકન અને મટનનું વેચાણ પણ બંધ કરવાનો નોટિસમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જો કોઈ પણ દુકાનદાર ઉપરોક્ત વસ્તુનું વેચાણ કરતા પકડાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા 2100 રૂપિયા દંડ લેવામાં આવશે,તેમજ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.
આ નોટિસ દરેક દુકાનદારને આપવામાં આવી છે.આ સમગ્ર બાબતે ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક સાધતા તેમને કેમેરા સમક્ષ આવવાની ના પાડી હતી.બીજી તરફ સરપંતના જણાવ્યું કે,કપરાડામાં મોટા ભાગના લોકો વાપી નોકરી અને મજૂરી કામે જાય છે અને 4 કલાકે તેઓ પરત કપરાડા સેન્ટર પર પહોંચે છે.દરેક વાહનો અહીં જ ઉભા રહે છે.જો કોઈ વાપીથી સંક્રમિત થઈને આવે તો કપરાડામાં કેસ વધે એમ છે,તો તેની તકેદારી રાખતા સાંજે 4 કલાક બાદ માર્કેટ બંધ કરી દેવા નોટિસ આપવામાં આવી છે.નોંધનીય છે કે, તબીબો અને સંશોધકોએ જણાવ્યું કે,કોરોનાએ ઠંડક અને ભેજવાલી જગ્યામાં વધુ ફેલાય છે.નહીં કે ઠંડા પીણા પીવાથી ફેલાય છે,પરંતુ ગૃપ ગ્રામ પંચાયત કપરાડા દ્વારા તો ન રહેગા બાંસ ન બજેગી બાંસુરીની જેમ દરેક દુકાનદારોને ઠંડા પીણા પર પણ રોક લગાવી દીધી છે.