ભાજપમાં છેલ્લા થોડાં દિવસોથી નવી નવી ચર્ચાઓ ચાલી રહી હતી.જેમાં હવે ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું આપવાની વિગતો સામે આવી રહી છે.જેમાં વિવિધ તર્ક વિતર્કો વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાની માહિતી આપી છે.
અહેવાલ અનુસાર, ગુજરાત ભાજપમાં થોડા દિવસોથી મહામંત્રી પદ પર રહેલા નેતા પ્રદીપસિંહ વાઘેલાના નામને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી.જેમાં આખરે આજે પ્રદીપસિંહે જણાવ્યું કે, 7 દિવસ પહેલા જ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.જેના માટે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે.જો કે આ તરફ એવી પણ વાતો સામે આવી રહી હતી કે પ્રદીપસિંહ વાઘેલાના કમલમમાં પ્રેવશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હોવની ચર્ચા હતી.જે પછી આજે તેમના રાજીનામાની વાતો પર પૂર્ણવિરામ લાગી ગયો છે.નોંધનીય છેકે, અગાઉ ભાર્ગવ ભટ્ટનું પણ રાજીનામું લેવાયું હતું.જેમાં પણ કોઈ પણ વિગતો સામે આવી નથી.
આ ઉપરાંત એવી પણ વાતો સામે આવી રહી છે કે, પ્રદિપસિહ વાઘેલાએ PM મોદી સાથે કરી હતી મુલાકાત જેના બાદથી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. PMની ગુજરાત મુલાકાત દરમિયાન પ્રદીપસિંહે સાથે ચર્ચા કરી હતી.આ તરફ હજી ભાજપ પ્રદેશ તરફથી કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી.છેલ્લા ઘણાં સમયથી ભાજપ સંગઠનમાં ચાલી રહેલી ચર્ચા અને પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપમાં પક્ષપ્રમુખથી માંડીને અલગ અલગ હોદ્દેદારો વિરૂદ્ધ પત્રિકા યુદ્ધ શરૂ થયા બાદ પક્ષના આંતરિક વિખવાદમાં હવે નવું એક પ્રકરણ ઉમેરાયું છે.આ તરફ અમદાવાદ પોલીસે સૂચના આધારે પૂછપરછ કરી કૌભાંડો અંગે માહિતી મેળવી હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
રાજીનામાંના કારણમાં પ્રદીપસિંહે શું કહ્યું?
પ્રદીપસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે, તેમણે પાર્ટીના મહાસચિવનું પદ એટલા માટે છોડી દીધું છે કારણ કે છેલ્લા બે વર્ષથી તેમની છબી ખરાબ કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે અને તેઓ સ્વચ્છ સાબિત કરવા માગે છે.ગુજરાતમાં ભાજપના ચાર મહામંત્રીઓમાંના એક પ્રદીપસિંહ વાઘેલાએ અંગત કારણોસર શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.ભાજપના ગુજરાત એકમના વડા અને સાંસદ સી.આર પાટીલ વિરુદ્ધ અપમાનજનક પત્રો ફરતા કરવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવ્યાના દિવસો બાદ પ્રદીપસિંહ વાઘેલાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.
પ્રદીપસિંહે અંગત કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપ્યું
સત્તાધારી પક્ષના ચાર મહામંત્રીઓ પૈકીના એક વાઘેલાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું અને તેમનું રાજીનામું પક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું હોવાનું ભાજપના પ્રદેશ એકમના નેતાએ શનિવારે જણાવ્યું હતું. ભાજપના વડોદરા શહેર મહામંત્રી સુનિલ સોલંકીએ શનિવારે જણાવ્યું હતું કે, કે તેમણે પણ અંગત કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. 2016 થી જનરલ સેક્રેટરીનું પદ સંભાળી રહેલા પ્રદીપસિંહ વાઘેલાએ દાવો કર્યો હતો કે કેટલાક લોકો તેમની છબી ખરાબ કરવાના ઈરાદાથી તેમના વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.આવા બે વ્યક્તિઓ જેલના સળિયા પાછળ છે અને અન્યની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે,એમ તેમણે વધુ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું.
પ્રદીપસિંહ વાઘેલાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, તેઓએ મને ખાસ એવા કારણોસર નિશાન બનાવ્યો હતો જે સ્પષ્ટ નથી.જો પાર્ટી મને આમ કરવા માટે નિર્દેશ આપશે તો હું તેમની સામે ફરિયાદ નોંધાવીશ.મેં મારા હોદ્દા પરથી રાજીનામું આપ્યું કારણ કે હું ઇચ્છતો હતો કે બધું સ્પષ્ટ થાય અને આરોપોની નિષ્પક્ષ તપાસ થાય.
પૂર્વ કુલપતિથી સંત સુધી : પત્રિકાકાંડમાં આ મોટા માથાઓ સામેલ,હાઈકમાન્ડ ચોંક્યુ
અત્યારે ગુજરાતભરમાં એકમાત્ર ચર્ચા છે પ્રદિપસિંહ વાઘેલાની વિરુદ્ધ ફરતી થયેલી પત્રિકા અને તે અંગે ચાલી રહેલી ગુપ્ત તપાસ.આખા પત્રિકા વિવાદમાં એક સંતની ભૂમિકા સામે આવી છે.એસઓજી દ્વારા જીમિત શાહ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વીસી હિમાંશુ પંડ્યાની પૂછપરછ કરવામાં આવી છે જેમાં ખુલાસો થયો છે કે આ મામલામાં એક સંતની પણ ભૂમિકા છે.સૂત્રો જણાવી રહ્યા છે કે યુનિવર્સિટીમાં ચાલતા કથિત કૌભાંડ અંગેની માહિતી હિમાંશુ પંડ્યાએ જીમિત શાહને આપી હતી જે બાદ જીમિત શાહે આ માહિતી એકત્ર કરી તેની પત્રિકાઓ તૈયાર કરી હતી.આ પત્રિકાઓ વીએચપી સાથે જોડાયેલા સંત અખિલેશ્વરદાસને આપી હતી.જે બાદ જીમિત શાહ અને સંતે પત્રિકાઓ ક્યાં અને કેવી રીતે વાયરલ કરવી તે આયોજન કર્યું હતું.આ પત્રિકામાં પ્રદિપસિંહ વાઘેલા,અમદાવાદ શહેર ભાજપના ઉપાધ્યક્ષ દર્શક ઠાકરને બદનામ કેવી રીતે કરવા તે અંગે આયોજન કર્યુ હોવાની માહિતી પોલીસને તપાસ દરમિયાન મળી છે.
સૂત્રો કહી રહ્યા છે કે ભાજપ સાથે જોડાયેલા કેટલાક નેતાઓની પણ સંડોવણી સામે આવી શકે છે.જીમિત શાહ,હિમાંશુ પંડ્યા અને સંતના મોબાઇલની વિગતો હાલમાં પોલીસ તપાસી રહી છે.સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે જીમિત શાહના મોબાઇલમાં અનેક વિગતો હાથ લાગી છે,જો તે જાહેર થાય તો ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી શકે છે અને સરકારના કેટલાક અધિકારીઓ સુધી પણ આ રેલો પહોંચી શકે છે.ભાજપ હાઇકમાન્ડ હાલ આ આખા પ્રકરણ પર નજર રાખી રહ્યું છે અને આ પળેપળની વિગત હાઇકમાન્ડ મેળવી રહ્યું છે.આ પત્રિકા કાંડ પ્રકરણ બહાર આવતા ભાજપની છાપ ખરડાઇ છે.આગામી સમયમાં સંગઠન અને સરકારમાં ફેરફાર નિશ્ચિત મનાઇ રહ્યો છે.
હવે કોનો વારો? પ્રદીપસિંહની વિદાય બાદ ભાજપમાં વિદ્રોહીઓ ફફડી ઉઠ્યા, આગામી દિવસોમાં પક્ષમાં મોટી ઉથલપાથલના એંધાણ
પત્રિકા- પેનડ્રાઈવ કાંડ બાદ ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે,તેમાંય સંગઠન પર પક્કડ ધરાવતા યુવા નેતા પ્રદીપસિંહ વાઘેલાની વિદાય બાદ ભાજપમાં વિદ્રોહીઓએ હથિયાર હેઠા મૂકી દીધા છે.હવે કોની વિકેટ પડશે તેવા અનુમાન સાથે નેતાઓ ફફડી ઉઠ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટાચાર સામેની ઝીરો ટોલરેન્સ નીતિને પગલે આગમી દિવસોમાં ભાજપમાં મોટો ઉલટફેર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે,ત્યારે સૌની નજર દિલ્હી પર મંડાઈ છે.
સૌની નજર દિલ્હી પર મંડાઈ : લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત ભાજપ હાલ પત્રિકાકાંડને કારણે ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત બન્યુ
અત્યાર સુધી લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત ભાજપ હાલ પત્રિકાકાંડને કારણે ડેમેજકંટ્રોલ કરવામાં વ્યસ્ત બન્યુ છે.સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સામે શરૂ થયેલી પત્રિકા વોરને લીધે ભાજપની પ્રતિષ્ઠા ઝંખવાઈ છે,પણ આ સમગ્ર પ્રકરણમાં પૂર્વ મંત્રી ગણપત વસાવાની મુખ્ય ભૂમિકા રહેલી છે,ત્યારે તેમના સમર્થકો સામે પોલીસ તપાસ ચાલી રહી છે.
મંત્રીમંડળની રચનામાં પાટીલનો દબદબો રહ્યો છે તે જગજાહેર
વડોદરામાં ય પત્રિકાકાંડ જામ્યો હતો,તેમાં વિરોધી જૂથને હાર માનવાનો વારો આવ્યો છે.અમદાવાદમાં પણ પત્રિકાકાંડે યુવા નેતા પ્રદિપસિંહનો ભોગ લીધો છે.ટૂંકમાં અત્યાર સુધી પાટીલ જૂથનો હાથ ઉપર રહ્યો છે.વિધાનસભા ચૂંટણીમાં ટીકિટ ઉપરાંત પક્ષમાં હોદ્દાની વહેંચણીથી માંડીને મંત્રીમંડળની રચનામાં પાટીલનો દબદબો રહ્યો છે તે જગજાહેર છે.આ સંજોગોમાં પાટીલ વિરોધી જૂથનો સફાયો કરવામાં સફળ રહ્યા છે.
SOGના અધિકારીઓ પર ભાજપના જ નેતાઓનો ગાળિયો કસાયો,પ્રદિપસિંહ વાઘેલાની પત્રિકા મામલે ગૃહ વિભાગે ખુલાસો માંગ્યો
ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજકીય વગનો ઉપયોગ કરીને તેમના વિરૂદ્વની પત્રિકાકાંડની તપાસ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપને આપી હતી.જે બાદ હવે એસઓજીના અધિકારીઓ પર ભાજપના જ નેતાઓનો ગાળિયો કસાયો છે. એસઓજીની કામગીરી ડ્રગ્સ અને દેશ વિરોધી તત્વો સામે કાર્યવાહી કરવાની છે.પરંતુ, અમદાવાદ પોલીસ સીધી રીતે કરી શકે તેવી તપાસ હાથમાં લઇને પ્રદીપસિંહે પત્રિકા મામલે આપેલી ૨૦ જેટલા શકમંદોની યાદીને આધારે પુછપરછ શરૂ કરી હતી. જે મામલે ભાજપના જ નેતાઓ એસઓજીના અધિકારીઓ પર નારાજ થયા છે અને સમગ્ર મામલો ગૃહ વિભાગમાં પહોંચતા એસઓજીના અધિકારીઓ તેમજ ક્રાઇમબ્રાંચના અધિકારી પાસે આ મામલે સ્પષ્ટતા માંગી છે.
ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ તેમના વિરૂદ્વ થયેલા ભ્રષ્ટ્રાચારના આક્ષેપોની પત્રિકા ફરતી થઇ હતી.આ મામલે તપાસ કરાવવા માટે તેમણે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવાના બદલે પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને જુહાપુરા સ્થિત સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની કચેરી ખાતે ઉચ્ચ અધિકારીનો સંપર્ક સમગ્ર મામલે તપાસ કરવા માટે અરજી આપી હતી.જેમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડયા સહિત ભાજપના મોટા કાર્યકરો હોય તેવા ૨૦ જેટલા શકમંદોની યાદી પણ સોંપી હતી.
સાથેસાથે દબાણ કર્યું હતું કે સમગ્ર કેસની તપાસ એસઓજીના ડીવાયએસપી બી સી સોંલકીના સુપરવિઝનમાં એક ટીમ દ્વારા કરવામાં આવે.જે વાતને એસઓજીના ડીવાયેસપીએ સ્વીકારીને લીધી હતી.જે બાદ હિમાંશુ પંડયાને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં પણ આવ્યા હતા.જ્યાં ચાર કલાક સુધી તેમને મેરેથોન પુછપરછ કરવામાં આવી હતી.આ ઉપરાંત, પાલડી ફતેપુરામાં આવેલી અશ્વિન સોસાયટીમાં રહેતા જીમીત શાહ અને મુકેશ શાહના ઘરે આ મામલે તપાસ પણ કરી.જેમાં સરકારી અને ખાનગી રબર સ્ટેમ્પ મળી આવતા પ્રદીપસિંહના અરજીની તપાસને બાજુમાં મુકીને રાતોરાત ખાનગી કંપનીના દિનેશ પટેલની અરજી લઇને તેમને ફરિયાદી બનાવવાના બદલે એસઓજીના એએસઆઇ નિકુલસિહને ફરિયાદી બનાવીને ગુનો નોંધવામાં આવ્યો હતો.આ તમામ બાબતો ભાજપના નેતાઓના ધ્યાનમાં આવવાની સાથે ગૃહવિભાગે એસઓજીની કામગીરી અંગે શંકા વ્યક્ત કરી હતી.જે બાદ એસઓજીના અધિકારીઓ પાસેથી ગૃહ વિભાગે આ સંદર્ભમાં ખુલાસો માંગ્યો છે.તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પર પણ સવાલ ઉભા કર્યા છે કે સીધી રીતે ક્રાઇમબ્રાંચના તાબામાં આવતી એસઓજીએ ઉચ્ચ અધિકારીઓને વિશ્વાસમાં લીધા વિના શા માટે તપાસ શરૂ કરી.
સુત્રોના જણાવ્યા મુજબ ભાજપના મોટા ગજાના નેતાઓએ એસઓજીને પ્રદીપસિંહે આપેલી ૨૦ લોકોની યાદી મંગાવી છે.ખાસ કરીને હિમાશુ પંડયાની ચાર કલાક ચાલેલી મેરેથોન પુછપરછથી પણ ભાજપના નેતાઓ નારાજ છે.આમ, પ્રદીપસિંહે રાજકીય વગનો ઉપયોગ પોલીસ ખાતામાં કરીને હવે એસઓજી અને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને મુશ્કેલીમાં મુકી દીધા છે.