અમદાવાદ : શહેરમાં ગરમીના પ્રકોપ વચ્ચે પાણીજન્ય રોગચાળાનો હાહાકાર યથાવત રહેવા પામ્યો છે.જૂન માસના 4 દિવસના ટૂંકા ગાળામાં જ કમળાના 32 અને ટાઈફોઈડના 34 કેસ મળી 66 કેસ સત્તાવાર રીતે નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.ઉપરાંત ઝાડા ઉલ્ટીના પણ 113 જેટલા કેસો સામે આવ્યા છે.જૂનમાં ડેન્ગ્યૂના પણ 4 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.અમદાવાદમાં ગરમીની સાથે પાણીજન્ય રોગચાળાએ પણ માઝા મુકી છે.જૂન માસના માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં જ કમળા અને ટાઈફોઈડના કેસોએ હાહાકાર મચાવ્યો છે.માત્ર 4 દિવસમાં જ શહેરમાં કમળાના 32 કેસો સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.જ્યારે ટાઈફોઈડના પણ 34 કેસો નોંધાયા છે.2021માં સમગ્ર જૂન માસમાં કમળાના 100 કેસ નોંધાયા હતા,જેની સામે આ વખતે માત્ર 4 જ દિવસમાં કમળાના 32 કેસો સામે આવ્યા છે.જ્યારે ટાઈફોઈડના પણ 2021માં જૂન માસમાં 81 હતા,જેની સામે આ વખતે 4 દિવસમાં જ 34 જેટલા કેસ સામે આવી ચુક્યા છે.
જૂન માસના પ્રથમ ચાર દિવસમાં જ ઝાડા ઉલ્ટીના 113 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે.જ્યારે 2022માં અત્યાર સુધી ઝાડા ઉલ્ટીના 2380 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે.જ્યારે કમળાના ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 672 કેસ અને ટાઈફોઈડના 687 કેસ નોંધાયા છે.કોલેરાના આ વર્ષે 7 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે.પાણીજન્ય રોગચાળાએ માઝા મુકતા કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પાણીના સેમ્પલ લઈ તેની ચકાસણી કરવામાં આવી રહી છે.જેમાં ચાલુ વર્ષે 149 જેટલા સેમ્પલ અનફીટ મળ્યા છે.ઉપરાંત ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
શહેરમાં ગરમીના પ્રકોપના લીધે પાણીજન્ય રોગચાળો વધ્યો છે,પરંતુ મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં હોવાનું જાણવા મળે છે.જૂન માસના 4 દિવસના સમયગાળામાં સાદા મેલેરીયના 16 જેટલા કેસ નોંધાયા છે.જ્યારે ડેન્ગ્યુના 4 કેસ અને ચીકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.ચાલુ વર્ષે સાદા મેલેરીયાના 196 કેસ,ઝેરી મેલેરીયાના 9 કેસ,ડેન્ગ્યુના 61 કેસ અને ચીકનગુનિયાના 119 કેસ નોંધાઈ ચુક્યા છે.મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે કોર્પોરેશન દ્વારા લોહીના નમુના લઈ તપાસ કરવામાં આવી રહી છે.