સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કેટલાક સમાજે ટિકીટની માગણી કરીને પોતાની રણનીતિ જાહેર કરવાનું શરૃ કર્યું છે.સુરતમાં રાજપૂત કરણી સેનાએ રાજપૂત સમાજને ટિકીટ ફાળવવામાં આવે તેવી માગણી કરી હતી.
હાલ ગુજરાતમાં ચૂંટણી હોય રાજકીય પક્ષના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.તેની સાથે સાથે સમાજના અગ્રણીઓ અને સમાજની વિવિધ પાંખના અગ્રણીઓ પણ સુરત આવી રહ્યાં છે.આજે કરણી સેનાના ઉપાધ્યક્ષ રાજ શેખાવત સુરતની મુલાકાતે આવ્યા હતા.તેણે વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા રાજપૂત સમાજને ટિકીટની ફાળવણીમાં પ્રાધાન્ય આપવામાં આવે તેવી વાત કરી હતી.વધુમાં કહ્યું કે,કરણી સેના સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસ કરી રહી છે અને વિવિધ જિલ્લા અને રાજ્યોમાં પ્રવાસ પણ કરી રહી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે કહ્યું કે,અમે કોઈ પણ રાજકીય પક્ષને મહત્વ આપતાં નથી.સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે વિધાનસભાની ચૂંટણીમાં સમાજના 25થી 30 લોકોને ટિકીટની ફાળવણી થવી જોઈએ.આવનારા સમયમાં રાજપૂત સમાજની રેલી કરવામાં આવશે અને સમાજને એક કરવામાં આવશે.
જો કોઈ રાજકીય પક્ષ અમારા સમાજની અવગણના કરે તો અમે અપક્ષ ઉમેદવાર ઉભા રાખીશું.જે પક્ષ અમારા સમાજને ટિકીટ આપશે તે પક્ષને અમે જીતાડવામાં મદદ કરીશું.આમ ચૂંટણીમાં રાજપૂત સમાજને મક્કમ પ્રતિનિધત્વ મળે તેની માગણી દરેક રાજકીય પક્ષ સમક્ષ મુકી હતી.