– નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના કુતિયાણાના વિધાનસભ્ય કાંધલ સરમણ જાડેજાને પાર્ટીમાંથી કાઢવા નહોતા અને તેમને ટિકિટ પણ આપવી નહોતી એટલે પ્રફુલ પટેલ અને શરદ પવારે આ રસ્તો અપનાવ્યો હતો
રાજકોટ : છેલ્લી બે ટર્મથી એકધારા કુતિયાણામાં જીતતા આવતા કાંધલ જાડેજાએ આ વખતે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)માંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે,પણ પક્ષ બદલવાની આ જે વાત બની છે એને માટે કાંધલની કોઈ તૈયારી નહોતી,તો સામા પક્ષે એનસીપીના શરદ પવાર અને પ્રફુલ પટેલ પૂરેપૂરી તૈયારીમાં હતા કે કાંધલને ટિકિટ આપવી નહીં.આ જ વાતની સાથોસાથ એ પણ નક્કી હતું કે કાંધલને પક્ષમાંથી બરતરફ પણ ન કરવો.આ જ કારણે કાંધલને છેલ્લી મિનિટ સુધી અંધારામાં રાખીને ફૉર્મ ભરવા માટે મૅન્ડેટ આપ્યો નહીં અને સમય પસાર થતો રહ્યો.ફૉર્મ ભરવાના અંતિમ ૨૪ કલાક દરમ્યાન તો એનસીપીના સુપ્રીમો શરદ પવાર અને પ્રફુલ પટેલે કાંધલના ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. કાંધલ જાડેજાએ એ ૨૪ કલાકમાં પવાર-પટેલને ૪૦-૪૦ ફોન કર્યા હતા,પરંતુ એક પણ ફોન એ બે નેતાઓમાંથી કોઈએ ઊંચક્યા નહીં, તો વળતો જવાબ પણ આપ્યો નહીં.
શું કામ ઉપાડ્યા નહીં ફોન?
ગુજરાતમાં રાજ્યસભાનું ઇલેક્શન હતું એ સમયે ક્રૉસ વૉટિંહગ થયું હતું,જે કાંધલ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. એને લીધે ગુજરાતની રાજ્યસભાની તમામ બેઠકો બીજેપીના ફાળે ગઈ હતી.વોટિંગના એ સમયે એનસીપીના પ્રફુલ પટેલ અને શરદ પવારે કાંધલ સાથે વાત કરવા માટે અઢળક ફોન કર્યા હતા,પણ કહે છે કે કાંધલ જાડેજાએ એક પણ ફોન રિસીવ નહોતા કર્યા,જેને લીધે પવાર-પટેલને બરાબરનું માઠું લાગ્યું હતું અને તેમણે પોરબંદર પંથકમાં બરાબરની ધાક ધરાવતા પોતાના આ મેમ્બર સાથેની રિલેશનશિપમાં સિફતપૂર્વક હાથ સેરવી લેવાનું નક્કી કરી લીધું હતું.જો કાંધલ જાડેજાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તો તે એનસીપીની અંદરની વાતો બહાર લાવે,જેની અસર મહારાષ્ટ્રમાં આવી રહેલા ઇલેક્શન પર પડી શકે,તો સાથોસાથ કાંધલ પાસે પૂરતો સમય રહે કે તે બીજી પાર્ટીમાં જાય.કાંધલ આવું કશું કરી ન શકે એ માટે પવાર-પટેલે લાસ્ટ મોમેન્ટ સુધી મૅન્ડેટ મોકલાવ્યો નહીં અને કાંધલ જાડેજા પણ રાહ જોતા બેસી રહ્યા.અલબત્ત, છેલ્લી મિનિબટે કાંધલ જાડેજાને અણસાર આવી જતાં તેમણે સમાજવાદી પાર્ટીમાં અખિલેશ યાદવનો સીધો સંપર્ક કર્યો અને તેમની પાસેથી ટિકિટ મેળવીને ફૉર્મ ભરી ઉમેદવારી નોંધાવી દીધી.


