બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં કઠોદરા ગામે આવેલ આત્મીય બંગલો સોસાયટીના બિલ્ડરોએ એક મકાન માલિકને ગેટકોની માર્જિન વાળી જગ્યામાં મકાન બનાવી આપી છેતરપિંડી કરતાં મકાન માલિકે પાંચ બિલ્ડરો વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધાવતાં ચકચાર મચી ગઈ હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગરના તળાજા જિલ્લાના બપાતા ગામના અને હાલ કામરેજ તાલુકાના કઠોદરા ગામે આત્મીય બંગલોમાં રહેતા ભરતભાઇ કરમશીભાઈ બલરે સને 2016માં ઘર લેવાનું હોવાથી કઠોદરા ગામે આત્મીય બંગલોમાં દલાલ અશોકભાઈના મારફતે ઘર જોવા ગયા હતા.જ્યાં તેમને મકાન પસંદ આવતા બિલ્ડર અરવિંદભાઈ કાળુંભાઈ સુહાગિયા તથા સંજયભાઈ છગનભાઈ ચોવડિયાએ એ-1,18 નંબરનો બંગલો બતાવ્યો હતો. આ બંગલો ગમી જતાં 48.11 લાખમાં મકાન ખરીદવાનું નક્કી કર્યું હતું.
જે પૈકી 51 હજાર રૂપિયા ટોકન પણ આપ્યું હતું.ત્યારબાદ ટુકડે ટુકડે રૂપિયા આપવાનું ચાલુ રાખ્યું હતું અને 13 લાખ રૂપિયાનું ચૂકવણું કર્યા બાદ બિલ્ડરના મારફતથી મકાનનો બાંધકામ કરાર કરી અડાજણ શાખાની HDFC બેન્કમાંથી 35 લાખ રૂપિયાની લોન કરાવી હતી.આ દરમ્યાન ભરતભાઇ પરિવાર સાથે નવા ઘરમાં રહેવા આવી ગયા હતા.જ્યાં મકાન નંબર 17માં રહેતા જગદીશભાઈ સરસરિયા સાથે વાહન પાર્કિંગ બાબતે ઝઘડો થતાં જગદીશભાઈએ તારું ઘર ગેટકોની માર્જિનમાં આવેલું છે જેથી હું તોડવી નાખીશ એવી ધમકી આપતા ભરતભાઇ તપાસ કરતાં ખરેખર આ મકાન ગેટકોના માર્જિનમાં હોવાનું બહાર આવ્યું હતું.જેથી ભરતભાઇએ લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કરવા કામરેજ પોલીસ મથકમાં અરજી આપી હોય જેના અનુસંધાનમાં કલેક્ટરની મંજૂરીના આધારે કામરેજ પોલીસમાં આરોપી હિંમત કાળુંભાઈ ઠૂમ્મર, ધીરુભાઈ નાગજીભાઈ અકબરી,સંજયભાઈ છગનભાઈ ચોવડિયા,નિકુંજભાઈ પ્રદીપભાઈ નામાણી તેમજ અરવિંદભાઈ સુહાગીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


