ગાંધીનગર : આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે પ્રચાર માટે હવે માત્ર ૪૮ કલાકનો જ સમય રહ્યો છે.રવિવારે સાંજે પ્રચારની અવધિ પૂર્ણ થાય તે પહેલા ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસમાં નેતા-કાર્યકરો માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ આકર પામી રહી છે.ભાજપમાં મુખ્યમંત્રી રૂપાણી સહિત દોઢ ડઝનથી વધુ નેતાઓ શનિવારે ચૂંટણી સભાઓ ગજવશે.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન બાદ ગુરુવારે ભાજપના પ્રદેશ નેતાઓએ ચૂંટણી પ્રચાર સ્થગિત રાખ્યો હતો.શુક્રવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોરબી, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ ધારી મતક્ષેત્રમાં ભાજપના ઉમદેવારોને જીતાડવા ચૂંટણી સભાઓ સંબોધી હતી.શનિવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારીના બગસરામાં ચૂંટણી સભા યોજશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અબડાસામાં જ્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કરજણમાં ભાજપનો પ્રચાર કરશે.આઠેય બેઠકો ઉપર મંગળવારે મતદાન યોજાવાનું છે.તે પહેલાં મતદારો શાંતિપૂર્વક પોતાના મતાધિકારના ઉપયોગ સંદર્ભે નિર્ણય લઈ શકે તે માટે આચારસંહિતના નિયમો અનુસાર રવિવારની સાંજથી ચૂંટણી પ્રચાર બંધ થશે.તેની સાથે જ જે તે મતક્ષેત્રના મતદાર ન હોય તેવા રાજકીય આગેવાનો, પ્રચારકોએ બેઠકનો વિસ્તાર છોડવો અનિવાર્ય છે. આથી, શનિવારે ચૂંટણી સભાઓ બાદ ભાજપના ઉમેદવારો સાથે પ્રદેશના નેતાઓ,કેન્દ્રીય મંત્રીઓ રવિવારે છેલ્લા કલાકો દરમિયાન રોડ- શો યોજીને પ્રચાર કરશે.
ભાજપે પાટીદાર સહિત વિવિધ સમાજો સાથે ગ્રૂપ મિટિંગ યોજી
પક્ષપલટો કરીને આવેલા ઉમેદવારોને કારણે કરજણ, મોરબી, ધારી અને અબડાસા એમ ચારેય બેઠકોમાં ભાજપ માટે કપરાં ચઢાણરૂપ હોવાના અહેવાલો વચ્ચે છેલ્લી ઘડીએ વિવિધ જ્ઞાતિ- સમાજોને આગેવાનો સાથે ગ્રૂપ મિટિંગો શરૂ કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા શુક્રવારે મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. કરજણ, ગઢડા અને લીંબડીમાં પણ ઓબીસી સમૂહની જ્ઞાતિઓના આગેવાનો સાથે ભાજપના હોદ્દેદારો ગ્રૂપ મિટિંગ યોજી રહ્યા છે.
છેલ્લા ૪૮ કલાકમાં કોંગ્રેસ સભાને બદલે માઈક્રો બૂથ મેનેજમેન્ટ કરશે
કરઝણ, અબડાસા, ગઢડા, ધારી, લીંમડી, કપરાડા સહિતના વિધાનસભા મતક્ષેત્રોમાં કોંગ્રેસના પ્રદેશ નેતા સહિત પ્રભારી રાજીવ સાતવે જાહેર ચૂંટણી સભાઓ યોજી છે. રવિવારે સાંજે જાહેર પ્રચાર બંધ થાય તે પહેલાંના ૪૮ કલાકમાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓ, બેઠક પ્રભારી આગેવાનો માઈક્રો લેવલે બૂથ મેનેજમેન્ટ કરશે. તદ્ઉપરાંત ડોર ટુ .ડોર કેમ્પેઈન, ફળિયા, મહોલ્લા અને સોસાયટીઓમાં નાના પાયે બેઠકો યોજીને મતદારોનો સંપર્ક કરશે. આ બે દિવસ કોંગ્રેસના ઉમેદવારોએ ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્કને વધુ સચેત પડશે.