– NCDFIના સ્વર્ણિમ જયંતી મહોત્સવમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીનું એલાન
– રામ નવમીએ ભગવાન શ્રી રામનું સ્મરણઃ રામાયણમાં ગુડ ગવર્નન્સ ડિફેન્સ,મેનેજમેન્ટ અને ઈકોનોમી છે અને યુવાનોએ તેને વાંચવું જોઈએ
ગાંધીનગર : કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCDFI)ના સ્વર્ણિમ જયંતિ મહોત્સવનું આયોજન થયું હતું.આ પ્રસંગે અમિતભાઈ શાહે દૂધની કિંમતોમાં થઈ રહેલા વધારાની નોંધ લીધી હતી અને કિંમતોને કાબૂમાં રાખવા સૂચન કર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં આપણે આત્મનિર્ભર થયા છીએ અને હવે ઉત્પાદન વધારવાની સાથે કોસ્ટ નીચે લાવીશું તો દુનિયાભરમાં તેને વેચી શકીશું.
મુખ્ય અતિથિ પદે અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં NCDFI ઈ એવોર્ડ એનાયત થયા હતા અને એનડીડીબી તથા જીએસએફસી વચ્ચે જૈવિક ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા એમઓયુ થયા હતા.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ને રાજ્યના દરેક જિલ્લામાં જૈવિક ખાતરના ઉત્પાદન-વેચાણની ચેઈન ઊભી કરવા માટે અમિતભાઈના હસ્તે ફંડ અર્પણ કરાયું હતું.પ્રવચનની શરૂઆતમાં અમિતભાઈએ રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામનું સ્મરણ કર્યું હતું.મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને તેમણે કહ્યું હતુ કે, શ્રી રામના જીવનને બારીકીથી વાંચો.ખબર પણ નહીં પડે કે શું મળ્યું છે.માનવજીવનની અચ્છાઈને ઉત્કૃષ્ટ રીતે એક જીવનમાં જીવી શકાય છે, તે રામ સિવાય કોઈની પાસેથી શીખવા નહીં મળે.રામાયણમાં ગુડ ગવર્નન્સ ડિફેન્સ, મેનેજમેન્ટ અને ઈકોનોમી છે.તેના કારણે જ કરોડો લોકો પોતાના ઘરમાં અને પોતાના ખર્ચે ભગવાન શ્રી રામનો જન્મદિન ઉજવે છે.
NCDFI સાથે દેશના 223 જિલ્લાની સહકારી ડેરીઓ સંકળાયેલી છે અને સહકાર ઝુંબેશના કારણે દૂધ ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બન્યું છે, તેવું એલાન કરીને અમિતભાઈએ ઉમેર્યું હતું કે, તેના કારણે કુપોષણની સમસ્યામાં રાહત મળી છે.ભારત હવે વૈશ્વિક સ્તરે દૂધનું સૌથી મોટું સપ્લાયર બન્યું છે. આ સાથે તેમણે ટકોર કરી હતી કે, અત્યારે તો આપણે ઈમ્પોર્ટને રોકીને રાખી છે, એટલે તમે જેટલા પણ ભાવ વધારો કોઈ બોલનાર નથી, પરંતુ જ્યારે દુનિયાના બજારમાં જશો ત્યારે સ્પર્ધા થશે.તો, દૂધના ઉત્પાદનને, તેને કોસ્ટને પણ નીચે લાવવા કામ કરવું પડશે.એનડીડીબીના ચેરમેન મીનેષ શાહે કહ્યું હતું કે, ગોબરમાંથી જૈવિક ખાતર બનાવવા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કેમિકલ્સ સાથે એમઓયુ થયા છે.
ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ ખાતે ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે લોકાર્પણ
પાલનપુર, વાવ : બનાસકાંઠાના સૂઇગામ તાલુકાના નડાબેટ સ્થિત ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહે રામનવમીની શુભેચ્છા પાઠવતા જણાવ્યુ કે, આપણા સૌના આરાધ્યદેવ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન-કવનમાંથી આપણને યુગો યુગોથી પ્રેરણા મળતી રહી છે.આજે મને ચૈત્ર સુદ-૯ ના પવિત્ર દિવસે નડેશ્વરી માતાજીનાં મેળામાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. BSFના જવાનો માઈનસ ૪૦ ડિગ્રીથી લઈને પ૦ ડિગ્રી ગરમીની કઠીન પરિસ્થિતિઓમાં દેશનું રક્ષણ કરે છે.સીમાઓ પર હજારો કિ.મી.દૂર તપતા રેગિસ્તાનમાં આપણી સુરક્ષા માટે તેઓ ખડેપગે ઊભા છે.જીવનપર્યંત કર્તવ્યના નારા સાથે દેશની સેવામાં BSF હંમેશા અગ્રેસર છે.દેશ પર જ્યારે જ્યારે આફત આવી છે ત્યારે BSFના જવાનોએ જાનની બાજી લગાવી દેશસેવા કરી છે.
આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કલ્પનાને હું વંદન કરું છું કે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમાદર્શન પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. આ પ્રોજેક્ટથી પ્રવાસનના વિકાસની સાથે નવી રોજગારીનું સર્જન થશે.તેમજ આવનારા ૧૦ વર્ષ પછી આ વિસ્તારમાં લાખો લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે.નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટના લીધે બનાસકાંઠા જિલ્લો સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.રાષ્ટ્રના નાગરિકોને મા ભોમની રક્ષા માટે સતત ખડેપગે રહેનારા BSF જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય તેમજ જવાનોની રહેણી-કરણી, ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળી શકે તેવા આશયથી સીમાદર્શન પ્રોજેક્ટ શરૂ કરાયો છે.ગૃહમંત્રીએ સીમાદર્શન પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે.
નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના કેન્દ્રીય ગૃહ મંત્રીએ દર્શન કર્યા
નડાબેટ ખાતે ‘સીમા દર્શન પ્રોજેક્ટ’ના ઉદઘાટન પૂર્વે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે નડેશ્વરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ચૈત્રી નવરાત્રિના અંતિમ દિવસ રામનવમીના પાવન અવસરે નડેશ્વરી માતાજીના દર્શન કરી કેન્દ્રીય ગૃહ મંત્રીએ દેશની સુરક્ષા અને અખંડિતતા માટે પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઇ મોદી પણ દર્શનાર્થે જોડાયા હતા.