નવી દિલ્હી : કુતુબ મિનાર કૉમ્પ્લેક્સમાં આવેલી હિન્દુ તથા જૈન મૂર્તિઓની પૂજા માટેની અરજીનો આર્કિયોલૉજી સર્વે ઑફ ઇન્ડિયા(એએસઆઇ)દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તેમ જ જણાવાયું હતું કે આ એક સ્મારક છે,કોઈ પૂજાનું સ્થાન નથી.એથી એમાં પૂજા કરવાનો અધિકાર આપતી અરજીનો સ્વીકાર ન થઈ શકે.આર્કિયોલૉજી વિભાગે સ્વીકાર્યું હતું કે કુતુબ કૉમ્પ્લેક્સના નિર્માણમાં હિન્દુ તથા જૈન મૂર્તિઓ તેમ જ અન્ય સ્થાપત્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ મામલે ચુકાદો નવ જૂન સુધી અનામત રાખવામાં આવ્યો છે.જજ નિખિલ ચોપડાએ કહ્યું હતું કે કોઈ પણ સ્થિતિનું ઉલ્લંઘન કરીને મૂળભૂત અધિકાર આપી શકાય નહીં.આર્કિયોલૉજી વિભાગે કહ્યું હતું કે કુવાત-ઉલ-ઇસ્લામ મસ્જિદમાં લખેલી પર્શિયન શિલાલેખમાંથી એ સ્પષ્ટ થાય છે કે સમગ્ર કૉમ્પ્લેક્સ ૨૭ જેટલાં મંદિરોના માળખામાંથી બનાવવામાં આવ્યું છે, પરંતુ એવો ઉલ્લેખ નથી કે તે મંદિરોને તોડીને બનાવવામાં આવ્યું હોય.છેલ્લાં ૮૦૦ વર્ષથી આ સ્મારક આવી જ સ્થિતિમાં છે.દક્ષિણ ભારતમાં પણ ઘણાં એવાં મંદિરો છે જ્યાં કોઈ પૂજા થતી નથી.સુનાવણી દરમ્યાન જજે પૂછ્યું પણ હતું કે સ્મારકને તમે મંદિર બનાવવા માગો છે.૮૦૦ વર્ષ પહેલાં જે ઘટના ઘટી હોય એના પર તમે કંઈ રીતે હક જમાવી શકો?જેના જવાબમાં એવું કહેવાયું છે કે એક વખત દેવોની મિલકત જે હોય એ કાયમ માટે એમની જ રહે છે.