અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી છ મહિનામાં યોજાવાની છે ત્યારે એકતરફ ભાજપે વિધાનસભાની તમામ ૧૮૨ બેઠક જીતવા માટે કમર કસી છે ત્યારે બીજીતરફ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અંગે અશોભનિય નિવેદન કરીને વિવાદ છંછેડ્યો છે.તેમણે કહ્યું કે,‘આપણે સૌએ જોયું કે,ભાજપે ભૂતકાળમાં રામ શિલાની વાત કરી હતી અને દેશના લોકોએ ભેગા થઈને રામ શિલા અયોધ્યામાં મંદિર બનાવવા માટે મોકલી હતી.તેમાંયે માતા અને બહેનોએ રામ શિલાને કુમકુમ અને તિલક અને ચાંદલો કરીને,માથે મૂકી અને આરતી ઉતારીને તેના પર રૂ.૫૦,૨૫ કે ૧૦૦ મૂકીને ગામના પાદરે ઢોલ-નગારા સાથે મૂકી આવ્યા હતા.આ લોકોએ વિચાર્યું હતું કે,આ રામ શિલા અયોધ્યા જશે અને અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બંધાશે ને અમે,અમારો પરિવાર અને બાળકો સુખી થશે,પણ પછી શું થયું?આ શિલા પર કૂતરા પેશાબ કરતા હતા.’
ધોળકાના વટામણ ચોકડી ખાતે યોજાયેલા કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં સંબોધતા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કરતા સ્વાભાવિક રીતે ભાજપે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે,પરંતુ આ નિવેદનની લોકોમાં પણ ભારે ટીકા થઈ રહી છે.ભાજપે માત્ર રામના નામનો ઉપયોગ સત્તા ખાટવા માટે કર્યો હતો,પ્રજાના હિત,કલ્યાણ,ધર્મ કે આસ્થા માટે નહીં.તેમણે ભાજપની ઝાટકણી કાઢતા કહ્યું કે,રામના નામે સત્તાનો વેપાર કરવાવાળા લોકોને મારે ઉઘાડા પાડવા છે.જોકે,તેમણે નિવેદન પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે,એ લોકો કહેશે કે સોંલકીએ રામના નામ,શિલા માટે આ બોલ્યા પણ હું તો માતા-બહેનોની આસ્થાને કઈ રીતે કચડવામાં આવી તે કહું છું,રામ શિલાનું અપમાન કર્યું તેનો જવાબ દેશની માતા-બહેનોએ આપવાનો છે.