(પીટીઆઇ) ટોરેન્ટો, તા. ૧૪ : કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના કરૃણ મોત થયા છે.જાન્યુઆરીમાં ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અકસ્માત નડયો હતો.દક્ષિણ ઓન્ટારીઓના કિવન્ટે વેસ્ટ શહેરમાં હાઇવે નં. ૪૦૧ પર પેસેન્જર વાન અને ટ્રેક્ટર ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ઓન્ટારીઓ પ્રોવિન્સિઅલ પોલીસ(ઓપીપી)એ કિવન્ટે શહેરમાં એક નિવેદનમાં જણાવ્યું છે કે ૨૪ વર્ષીય હરપ્રીત સિંહ,૨૧ વર્ષીય જસપિન્દર સિંહ,૨૧ વર્ષીય કરણપાલ સિંહ,૨૩ વર્ષીય મોહિત ચૌૈહાણ અને ૨૩ વર્ષીય પવન કુમાર ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા ભારતીયો ગ્રેટર ટોરેન્ટો અને મોન્ટ્રિઅલ વિસ્તારના વિદ્યાર્થીઓ હતાં.કેનેડા સ્થિત ભારતના હાઇ કમિશનર અજય બિસારિઆએ આ ઘટનાને આઘાતજનક ગણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટોરેન્ટોમાં ભારતીય મિશન કોઇ પણ જાતની મદદ માટ પીડિતોના મિત્રો સાથે સંપર્કમાં છે.
તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે કેનેડામાં આઘાતજનક દુર્ઘટના.ટોરોન્ટો પાસે થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓનાંમોત અન્ય બે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.ટોરેન્ટોમાં ભારતીય મિશન કોઇ પણ જાતની મદદ માટે પીડિતોના મિત્રો સાથે સતત સંપર્કમાં છે.
મીડિયાના અહેવાલ મુજબ ભારતીય વિદ્યાર્થીઓ એક પેસેન્જર વાનમાં બેસી હાઇવે નં.૪૦૧થી પશ્ચિમ તરફ જઇ રહ્યાં હતાં ત્યાારે વહેલી સવારે ૩.૪૫ વાગ્યે આ વાન ટ્રેક્ટર સાથે અથડાઇ હતી.અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આ અકસ્માતમાં ટ્રેક્ટર ટ્રેલરના ડ્રાઇવરને કોઇ ઇજા થઇ નથી.
આ ઘટનાની તપાસ માટે જે માર્ગ પર અકસ્માત થયો હતો તેને ૧૦ કલાક સુધી બંધ રાખવામાં આવ્યો હતો.ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ છે.