- મંત્રાલયે જણાવ્યું કે, કોરોના મહામારીને અનુલક્ષીને વ્યાપક જનહિતમાં વેક્સિનેશન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે
નવી દિલ્હી,તા.17 જાન્યુઆરી,સોમવાર : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે,કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના વેક્સિનેશનને લઈ જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ વ્યક્તિને તેની મરજી વગર બળજબરીથી વેક્સિન ડોઝ ન આપી શકાય.
દિવ્યાંગ વ્યક્તિઓને વેક્સિનેશન સર્ટિફિકેટ પ્રસ્તુત કરવામાં છૂટ મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે,તેમના દ્વારા આવી કોઈ એસઓપી જાહેર નથી કરવામાં આવી જેમાં કોઈ પણ ઉદ્દેશ્ય માટે કોરોના વેક્સિનેશન પ્રમાણપત્ર અનિવાર્ય હોય.એજન્સીના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારે આ વાત એક એનજીઓ ‘ઈવારા ફાઉન્ડેશન’ની અરજીના જવાબમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહી હતી.અરજીમાં એનજીઓએ દિવ્યાંગોના ઘરે-ઘરે જઈને વેક્સિનેશન કરવાની માગણી કરી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે,સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશોમાં કોઈ પણ વ્યક્તિની સહમતિ વગર બળજબરીથી વેક્સિનેશનની પરિકલ્પના નથી કરવામાં આવેલી.એટલું જ નહીં,મંત્રાલયે જણાવ્યું કે,કોરોના મહામારીને અનુલક્ષીને વ્યાપક જનહિતમાં વેક્સિનેશન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.મંત્રાલયે જણાવ્યું કે,વિભિન્ન પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વિજ્ઞાપન દ્વારા એવી સલાહ આપવામાં આવી છે કે,તમામ નાગરિકોએ કોરોના વેક્સિન લેવી જોઈએ તથા તેના માટે વ્યવસ્થા અને પ્રક્રિયા પણ નિર્ધારિત કરવામાં આવી છે.જોકે કોઈ પણ વ્યક્તિને તેની સહમતિ વગર વેક્સિન લગાવવા માટે મજબૂર ન કરી શકાય.