નવી દિલ્હી, તા. 06 જુલાઈ 2022 બુધવાર : કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામુ આપ્યુ છે.તેઓ લઘુમતી બાબતોનો વિભાગ સંભાળી રહ્યા હતા.મુખ્તાર રાજ્યસભાના સભ્ય હતા.તેમનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો હતો.આ વખતે ભાજપે નકવીને રાજ્યસભામાં મોકલ્યા નથી.પાર્ટી તેમને મોટી જવાબદારી સોંપે તેવી શક્યતા છે.
મોદી સરકારના બે મંત્રીઓના રાજ્યસભા સભ્ય તરીકેનો કાર્યકાળ ગુરુવારે ખતમ થઈ રહ્યો છે.જેમાં મુખ્તાર અબ્બાસ નકવી સિવાય જદયુના આરસીપી સિંહનુ નામ સામેલ છે.આ બંને નેતા 6 જુલાઈ બાદ કોઈ પણ સભાગૃહના સભ્ય રહેશે નહીં.
ભાજપ અધ્યક્ષ નડ્ડાને મળ્યા હતા નકવી
મુખ્તાર અબ્બાસ નકવીએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને લોકોની સેવામાં નકવીના યોગદાનના વખાણ કર્યા.
સૂત્રો અનુસાર PM મોદીએ મંત્રીમંડળની બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહના યોગદાનના પણ વખાણ કર્યા હતા.વડાપ્રધાનના વખાણ બાદથી જ અટકળો લગાવાઈ રહી હતી કે બંને મંત્રી ટૂંક સમયમાં જ રાજીનામુ આપશે.આ દરમિયાન નકવીએ વડાપ્રધાન મોદીને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ.


