– કેન્દ્ર સરકાર 22 વર્ષ જૂના આઈ.ટી. એક્ટને બદલીને નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવશે: રાજીવ ચંદ્રશેખર
– રાજીવ ચંદ્રશેખરના નિવેદનથી વિદ્યાર્થીઓમાં ભારે ખુશીની લાગણી
– વિદ્યાર્થીઓને ડિગ્રી સાથે સ્કીલ કોર્સિસ દ્વારા સ્કીલ ડેવલપ પણ કરવા કર્યો અનુરોધ
આજે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરની હાજરીમાં ઉપસ્થિતિમાં આત્મીય યુનિવર્સિટી ખાતે ન્યૂ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા: ટેકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર 22 વર્ષ જૂના IT એક્ટને બદલીને નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવશે.તેમની આ વાતને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ખુશીની લાગણી જોવા મળી હતી.કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પોતે 1995માં કરેલા ટેલિકોમ સ્ટાર્ટ અપની વાત કરીને યુવકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, પહેલાના સમય કરતાં આજે સ્ટાર્ટઅપ માટે ખૂબ અનુકૂળ વાતાવરણ બન્યું છે.ટેકેડ એટલે ટેકનોલોજી દ્વારા વિકાસની તકોનું દશક.આ દાયકો ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે.દાયકાઓ પહેલા મોટા મોટા ઉદ્યોગપતિ પરિવારો સુધી મૂડી અને અવસરો ઉપલબ્ધ હતા.હવે અવસરો અને મૂડીનું લોકશાહીકરણ થયું છે. 100થી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ અને 75 હજારથી વધુ સ્ટાર્ટઅપ દ્વારા નવા નવા સાહસિકો પોતાના બળે આગળ આવ્યા છે.બાદમાં તેઓએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.ઉપરાંત વિદ્યાર્થીઓને ડિગ્રી સાથે સ્કીલ કોર્સિસ દ્વારા સ્કીલ ડેવલપ પણ કરવા અનુરોધ કર્યો હતો.આ તકે i-hubનાં CEO હિરન્મય મહંતાએ સ્ટાર્ટઅપ ક્ષેત્ર અંગે વાત કરતા કહ્યું હતું કે, ગવર્મેન્ટ,જીઓગ્રાફિકલ ઇન્કલુઝન,જેન્ડર,ગ્રાસ રૂટ ઇનોવેશન,જનરેશન નેક્સ્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના 5G સ્પેક્ટ્રમ પર અમે કામ કરી રહ્યા છીએ.સરકારના અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ પ્રકારના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ પહેલા રાજીવ ચંદ્રશેખરે વિવિધ કોલેજના સ્ટાર્ટઅપ બૂથની મુલાકાત લીધી હતી.દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત બાદ શાલ,પુસ્તક અને મોમેન્ટો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.આ અવસરે મંત્રી અને મહાનુભાવો દ્વારા સ્ટાર્ટઅપ્સ કરનારા યુવા સાહસિકોને એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.