નવી દિલ્હી,તા.6 જુલાઈ : મોદી સરકારમાં કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ બની ગઈ છે.એક તરફ સંભવિત દાવેદારોના નામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેબિનેટમાં સ્થાન પામવા માટેના પ્રબળ દાવેદાર મનાતા મધ્યપ્રદેશના નેતા જ્યોરાદિત્ય સિંધિયાને કેબિનેટમાં સામેલ થવા માટે ફોન આવી ગયો હોવાનુ સૂત્રોનુ કહેવુ છે.સિંધિયાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.જેના પગલે તેઓ પોતાનો મધ્યપ્રદેશનો પ્રવાસ ટુંકાવીને દિલ્હી પરત ફરી રહ્યા છે.
સિંધિયા હાલમાં ઈન્દોરમાં છે અને બપોરની ફ્લાઈટમાં તે દિલ્હી પાછા ફરી રહ્યા છે.આમ તો સિંધિયાને સાત જુલાઈએ દિલ્હી પાછા જવાનુ હતુ પણ ફોન આવ્યા બાદ તેઓ આજે જ દિલ્હી રવાના થઈ રહ્યા છે.સિંધિયા કેબિનેટમાં સામેલ થવા માટેના પ્રબળ દાવેદારો પૈકીના એક છે.રતલામમાં તેમને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, હું તો લોકો વચ્ચે તેમના સુખ-દુખની જાણકારી મેળવી રહ્યો છું અને હું ભાજપનો એક પદનો કાર્યકર છું.
ઉલ્લેખનીય છે કે, માર્ચ2020માં સિંધિયાએ ભાજપનુ સભ્યપદ ગ્રહણ કર્યુ હતુ. એ પછી પાર્ટીએ તેમને રાજ્યસભાની ટિકિટ આપી હતી. સાંસદ બન્યા બાદ અટકળો શરૂ થઈ હતી કે, મોદી સરકારની કેબિનેટમાં તેમને જગ્યા મળશે.જોકે કોરોનાના કારણે હજી સુધી કેબિનેટનુ વિસ્તરણ થઈ શક્યુ નથી.
જોકે સિંધિયા એમપીમાં સતત સક્રિય છે.તેઓ એક મહિનામાં ત્રણ વખત મધ્યપ્રદેશ ગયા છે.તેમણે હાલના પ્રવાસમાં ભાજપના કાર્યકરો સાથે પણ મુલાકાત કરી છે.