– દિલ્હી હિંસા મુદ્દે ચોક્કસ ધર્મના લોકો અને સંઘની ટીકા બદલ
નવી દિલ્હી
દિલ્હી રમખાણોને લઇને કેન્દ્રીય આઇબી મંત્રાલયે કેરળની ચેનલો પર જે પ્રતિબંધો લગાવ્યા હતા તેને આખરે હટાવવા પડયા છે. સોશિયલ મીડિયા પર આ પ્રતિબંધોને લઇને ભારે વિરોધ થયો હતો જેને પગલે સરકારે આખરે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે અમે જે પણ પ્રતિબંધ લગાવ્યા હતા તેને હટાવી લીધા છે.
જોકે આ પ્રતિબંધ કાયમ માટે નહીં પણ 48 કલાક પુરતા જ હતા. દિલ્હીમાં થયેલી હિંસા મુદ્દે એક ચોક્કસ કોમ્યૂનિટી અને આરએસએસની ટીકા કરવા બદલ આ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હોવાનો દાવો થઇ રહ્યો છે. પ્રતિબંધો હટાવવા મુદ્દે જાણકારી આપતી વેળાએ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું છે કે સરકાર મીડિયાની આઝાદીની સમર્થક છે.
કોઇ વધુ વિગતો જાહેર કર્યા વગર જાવડેકરે કહ્યું હતું કે હું આ સમગ્ર મામલા પર નજર રાખી તપાસ કરી રહ્યો છું અને જો કઇ પણ ગેરરીતિ જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
સાથે જ દરેકે એ વાતનો સ્વીકાર કરવો જોઇએ કે સ્વતંત્રતા પણ કેટલીક જવાબદારીઓ સાથે જાળવી રાખવી જરૂરી છે. આ ચેનલો પર શુક્રવારે સાંજે 7.30 કલાકે પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા, દિલ્હી હિંસા મુદ્દે આમ કરાયું હતું અને 48 કલાક સુધી ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા.
જે ચેનલો પર આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા તેમાં એસિયાનેટ ન્યૂઝ પરના પ્રતિબંધોને મોડી રાત્રે 1.30 કલાકે હટાવી લેવાયા હતા જ્યારે મીડિયા વન ચેનલ પરના પ્રતિબંધને શનિવારે જ સવારે સાડા નવ કલાકે દુર કરાયા છે. એટલે કે 48 કલાકનો સમય પુરો થાય તે પહેલા જ પ્રતિબંધોને હટાવવા પડયા હતા.
સોશિયલ મીડિયા દ્વારા લોકોએ સરકારના પ્રતિબંધો લાદવાના પગલાની ભારે ટીકા કરી હતી. કોંગ્રેસ, ડાબેરી પક્ષોએ પણ સરકારની ભારે ટીકા કરી હતી. કેરળના મુખ્ય પ્રધાન વિજયને કહ્યું હતું કે ચેનલો પરના પ્રતિબંધો ખરેખર બહુ જ ભયાનક પગલું કહેવાય.