– સુરેશ ગોપીએ જણાવ્યું કે, ગૌ સંરક્ષણ યાત્રા કેરળના લોકોને પ્રેરિત કરવાનું કામ કરશે અને આશા છે કે, તેનાથી લોકોમાં ગાયોની રક્ષા માટે જાગૃતિ ફેલાશે
નવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ : મલયાલી અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુરેશ ગોપીએ થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું જેને લઈ હાલ ચર્ચા જામી રહી છે.કેરળના એર્નાકુલમ ખાતે ગૌ સંરક્ષણ રથ યાત્રાની શરૂઆત કરતી વખતે સુરેશ ગોપીએ કહ્યું હતું કે, જો કોઈ મને Cow Dung (ગાયનું ગોબર) કહીને બોલાવે તો મને શરમ નથી આવતી પરંતુ તે સાંભળીને મને ખૂબ ગર્વ અનુભવાય છે.
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં સુરેશ ગોપીએ જણાવ્યું કે, કોઈએ એ ભૂલવું ન જોઈએ કે, શ્રીનારાયણ ગુરૂનો જ્યારે જન્મ થયો ત્યારે તેમને પણ ગાયના છાણનો સ્પર્શ કરાવવામાં આવ્યો હતો.તેવામાં એમને જ્યારે કોઈ ગાયનું છાણ કહે છે તો કોઈ જ દુખ નથી થતું.
શું છે Cow Dung સાથે સંકળાયેલો મુદ્દો
હકીકતે સુરેશ ગોપીએ એક ચાહકને આપેલા જવાબમાં આ નિવેદન આપ્યું હતું. મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં જ મલયાલી વ્લોગર બુલ જેટ બ્રધર્સની ધરપકડ કરી હતી જેને લઈ ચાહકોએ સુરેશ ગોપીની મદદ માંગી હતી. તે સમયે સુરેશ ગોપીએ કહ્યું હતું કે, આ ડિપાર્ટમેન્ટ મુખ્યમંત્રીના અંડરમાં આવે છે તેવામાં કોઈ મદદ ન કરી શકે.આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેઓ આ કેસમાં મદદ ન કરી શકે કારણ કે તેઓ Cow Dung છે.સાંસદનો આ ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
સમગ્ર કેરળમાંથી પસાર થશે ગૌ સંરક્ષણ યાત્રા
સુરેશ ગોપીએ જણાવ્યું કે, ગૌ સંરક્ષણ યાત્રા કેરળના લોકોને પ્રેરિત કરવાનું કામ કરશે. આશા છે કે, તેનાથી લોકોમાં ગાયોની રક્ષા માટે જાગૃતિ ફેલાશે. હવે શરૂ થનારી આ યાત્રા વર્ષના અંતમાં પૂરી થશે.રાજ્યસભા સાંસદે જણાવ્યું કે, કૃષિ અને ખેડૂતોને બચાવવા માટે ગાયોની રક્ષા કરવી ખૂબ જરૂરી છે.આ દિશામાં ભરવામાં આવેલું દરેક પગલું ખૂબ લાભદાયી બનશે.ગૌ સંરક્ષણ યાત્રા કેરળના વિવિધ ક્ષેત્રોમાંથી નીકળશે અને વર્ષાન્તે પવાકુલ્લમ મંદિરમાં જઈને પૂરી થશે.