કાબુલ, તા. 13. માર્ચ. 2022 રવિવાર : અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવ્યા બાદ ઈસ્લામિક સ્ટેટ દ્વારા મોટા પાયે હુમલા ચાલુ જ રખાયા છે.ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન તરીકે હવે જાણીતા થયેલુ સંગઠન દુનિયાને પણ પોતાના ઈરાદાઓ અંગે જણાવી રહ્યુ છે.
સંગઠને પોતાના નિવેદનમાં કહ્યુ છે કે,ભારતના કેરાલાનો રહેવાસી 24 વર્ષનો યુવાન અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં માર્યો ગયો છે.સંગઠનના મેગેઝિનમાં દાવો કરાયો છે કે,નજીબ અલ હિન્દી નામનો યુવાન એમટેકની ડિગ્રી મેળવીને કેરાલાથી અફઘાનિસ્તાનના ખુરાસાન પ્રાંતમાં પહોંચ્યો હતો.
જોકે મેગેઝિનમાં નજીબ અંગે વધારે જાણકારી અપાઈ નથી અને કઈ સ્થિતિમાં તેનુ મોત થયુ છે તે પણ કહેવાયુ નથી.
મેગેઝિનમાં કહેવાયા પ્રમાણે નજીબ અલ હિન્દી ખુરાસાનમાં મુજાહિદ્દીનો સાથે રહેતો હતો.તેના લગ્ન પાકિસ્તાનની યુવતી સાથે થયા હતા અને લગ્નના થોડા દિવસો બાદ આત્મઘાતી હુમલા માટે તેણે પોતાની જાતને તૈયાર કરી હતી અને હુમલાને અંજામ પણ આપપ્યો હતો.
આ ખુલાસા બાદ ભારતની જાસૂસી સંસ્થાઓ પણ ચોકી ઉઠી છે.નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પાસે જે માહિતી છે તે પ્રમાણે કેરાલાના 25 નાગરિકો ઈસ્લામિક સ્ટેટમાં જોડાવા ખુરાસાન ગયા હતા.તેમાંથી કેટલાક માર્યા ગયા છે.કેટલાક અફઘાનિસ્તાનની જેલમાં છે.
હવે જાસૂસી સંસ્થાઓ નવેસરથી જાણકારી મેળવી રહી છે કે,કેટલા લોકો ભારતમાંથી સીરીયા કે અફઘાનિસ્તાન પહોંચ્યા છે.