– હજારો નાગરિકોએ મોડી રાત સુધી -દેશની સ્વતંત્રતાની ઉજવણી કરી
બ્રિજટાઉન : કેરેબિયન દેશ બાર્બાડોસે આશરે 400 વર્ષ સુધી અંગ્રેજોની ગુલામીમાં રહ્યાં બાદ છેવટે પોતાને સ્વતંત્ર દેશ જાહેર કર્યો છે.સોમવારે મોડી રાત્રે યોજાયેલા એક ભવ્ય સમારંભમાં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.બ્રિટનના પ્રથમ જહાજના બાર્બાડોસમાં આગમનના આશરે 400 વર્ષ પછી પ્રથમવાર આ દેશ સંપૂર્ણ સ્વતંત્ર બન્યો છે.ઉપનિવેશ તરીકેના દરજ્જામાંથી આઝાદી મળ્યાં બાદ બાર્બાડોસના હજારો નાગરિકોએ મોડી રાત સુધી તેની ઉજવણી કરી હતી.
ગણતાંત્રિક દેશ બન્યાં બાદ અહીંના હીરોઝ સ્ક્વેર નામના સ્થળે દેશનું રાષ્ટ્રગીત વગાડાયું હતું.બાર્બાડોસના પગલે હવે આગામી સમયમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયની સંપ્રભુતા ધરાવતા અન્ય બાકી રહેલા દેશો પણ બ્રિટિશ રાજતંત્રને જાકારો આપશે તેવી શક્યતાઓ વધી છે.બાર્બાડોસના ગવર્નર જનરલ સાન્ડ્રા મેસન સ્વતંત્ર બાર્બાડોસના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળશે. સંસદના બંને ગૃહો દ્વારા રાષ્ટ્રપતિ પદ માટે ગયા સપ્તાહે મેસનની પસંદગી કરાઈ હતી.સ્વતંત્રતાની જાહેરાત બાદ સ્થાનિક લોકોએ ગીત,સંગીત અને નૃત્ય અને આતશબાજી સાથે ઉજવણી કરી હતી.
વાસ્તવમાં બાર્બાડોસ નવેમ્બર, 1966માં જ યુનાઈટેડ કિંગડમથી સ્વતંત્ર થઈ ગયું હતું.જોકે તેણે બ્રિટિશ સંપ્રભુતાને યથાવત્ રાખી હતી.જોકે છેલ્લાં કેટલાંક દાયકાઓથી તેણે ધીમે ધીમે બ્રિટનના પ્રભુત્વને ઘટાડવાની શરૂઆત કરી હતી. 2005માં બાર્બાડોસે ન્યાય માટેના અંતિમ સ્થાન તરીકે લંડન સ્થિત પ્રીવી કાઉન્સિલને ફગાવી ત્રિનિદાદ સ્થિત કેરેબિયન કોર્ટ ઓફ જસ્ટિસને અપનાવી હતી.ત્યારબાદ 2008માં તેણે પ્રજાસત્તાક દેશ બનવા માટે લોકમત લેવાની દરખાસ્ત રજૂ કરી હતી જોકે કોઈ કારણોસર તે શક્ય બન્યું નહોતું.
ગયા વર્ષે જ તેણે બંધારણીય રાજાશાહીનો અંત લાવવાની અને નેશનલ હીરોઝ સ્ક્વેર નામના સ્થળેથી બ્રિટિશ વાઈસ એડમિરલ હોરેશિયો નેલ્સનની પ્રતિમા હટાવવાની જાહેરાત કરી હતી.બાર્બાડોસનો રાષ્ટ્રીય ધ્વજ તથા રાષ્ટ્રગીત વગેરેમાં કોઈ ફેરફાર નહીં કરાય પરંતુ કેટલાંક અન્ય બદલાવ હાથ ધરાશે. જેમ કે હવે કોઈ સત્તાવાર જાહેરાત કે કાર્યવાહીમાં રોયલ કે ક્રાઉન જેવા શબ્દોનો ઉપયોગ નહીં કરાય.રોયલ બાર્બાડોસ પોલીસ હવે બાર્બાડોસ પોલીસ સર્વિસ અને ક્રાઉન લેન્ડ્સ હવે સ્ટેટ લેન્ડ્સ તરીકે ઓળખાશે.બાર્બાડોસના ઈતિહાસ અને તેના નાગરિકો માટે આ એક નવા યુગની શરૂઆત છે તેમ બાર્બાડોસ ટૂડે અખબારના એક કોલમિસ્ટે જણાવ્યું હતું.બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે જણાવ્યું હતું કે બંધારણીય પરિવર્તન પછી પણ બ્રિટન અને બાર્બાડોસના સંબંધો અગાઉ જેટલાં જ મજબૂત બની રહેશે.