અમદાવાદ : ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાજ્યના ચાર ઝોનના સ્થાનિક આગેવાનો,કાર્યકરો,ચૂંટાયેલા પદાધિકારીઓ-હોદ્દેદારો સાથે બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવા માટે પ્રાથમિક બેઠકોનો દોર આરંભી દીધો છે.આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો મતદારો સાથે સીધો સંપર્ક કરવા રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠકનો પ્રવાસ ખેડશે.કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ ગણાતા બૂથ મેનેજમેન્ટ માટે નેતાઓએ નવી ફોર્મ્યુલા ઘડી કાઢી છે,જે મુજબ‘મારું બૂથ મારું ગૌરવ’અભિયાન અંતર્ગત એક બૂથમાં ત્રણ કાર્યકરની નિમણૂક કરવામાં આવશે.જેમાં એક સ્થાનિક મતવિસ્તારના, એક રાજ્યસ્તરના અને એક ગુજરાત બહારના કાર્યકર-આગેવાનનો સમાવેશ કરાશે.ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન દરેક વિધાનસભા મતવિસ્તારની મુલાકાત દરમિયાન આ ત્રણેય કાર્યકરો-આગેવાનોને તેમણે કેવી કામગીરી કરવાની રહેશે તેનું માર્ગદર્શન આપીને જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે.સાથોસાથ ૧૮૨ વિધાનસભા બેઠકમાં એક હજાર બેઠક યોજીને ચૂંટણી ઢંઢેરો(મેનિફેસ્ટો) તૈયાર કરવામાં આવશે.
ગુજરાત કોંગ્રેસે શનિવારથી ચારેય ઝોનની બેઠકોના સ્થાનિક આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે.જેમાં સોમવારે ઉત્તર ગુજરાતની ૫૩ બેઠક માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,પ્રભારી ડો. રઘુ શર્માની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં મુખ્યત્વે બૂથ મેનેજમેન્ટ માટે યોજવામાં આવી હોવાનું જણાવતા સૂત્રોએ કહ્યું કે,ચૂંટણીમાં પરાજય માટેના કારણોમાં નબળા બૂથ મેનેજમેન્ટને પણ એક મહત્વનું પરિબળ માનવામાં આવ્યું છે.વિધાનસભાની ચૂંટણીમાં શહેરી કે ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના બૂથ પર કોંગ્રેસનો કાર્યકર જોવા મળતો ન હોવાની ફરિયાદ વ્યાપકપણે ઉઠતી રહે છે.જે તે મતવિસ્તારના ચૂંટણી લડી રહેલા ઉમેદવાર અને સંગઠન વચ્ચે સંકલનના અભાવે મતદાનના દિવસે અસંખ્ય બૂથો પર કોંગ્રેસનો કાર્યકર-એજન્ટ ન હોવાનું જોવા મળતું હોવાથી આ વખતે નેતાઓએ બૂથ મેનેજમેન્ટની નબળાઈ દૂર કરવા નવી ફોર્મ્યુલા ઘડી કાઢી છે.
આ ઉપરાંત ચૂંટણી ઢંઢેરો બનાવતા પહેલા લોકોને મળીને તેમના સૂચનો-અભિપ્રાય લેવાનો સિલસિલો આ વખતે પણ જારી રાખવામાં આવશે.અગાઉની જેમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાઓ, પ્રશ્નો જાણીને કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે.અલબત્ત,અગાઉ પ્રદેશના નેતાઓ સ્થાનિક આગેવાનો-કાર્યકરો સાથે ચર્ચા કરીને સૂચનો એકત્ર કરતા હતા,તેના સ્થાને આગામી ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન દરેક વિધાનસભા મતવિસ્તારની મુલાકાત સમયે જ બૂથ મેનેજમેન્ટની સાથોસાથ કોંગી આગેવાનો,નેતાઓ લોકોને વ્યક્તિગત મળીને સૂચનો-અભિપ્રાય મેળવીને પ્રદેશ ચૂંટણી સમિતિને સુપરત કરશે.જેના પર રાજ્ય સ્તરની મેનિફેસ્ટો કમિટી ચર્ચા-વિચારણાને અંતે આખરી ઓપ આપીને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ લોકોને વચન આપશે


