ગુજરાતના પહેલી મેના રોજ સ્થાપના દિન નિમિત્તે ગુજરાત કોંગ્રેસ દ્વારા દાહોદ ખાતે આદીવાસી સંમેલન અને આદીવાસી અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સંમેલન-યાત્રા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે.ત્યારે કોંગ્રેસની પરંપરાગત મતબેન્ક આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસે યાત્રા યોજીને ભાજપ દ્વારા તેમના હક છીનવવા,અન્યાય સહિતના મુદ્દે જન જાગરણ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.સંમેલન-યાત્રાના આયોજન માટે શનિવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,પ્રભારી રઘુ શર્મા, વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત સમગ્ર આદિવાસી વિસ્તારના ધારાસભ્યો,હોદ્દેદારો,સ્થાનિક આગેવાનોની બેઠક બોલાવવામાં આવી છે.જેમાં કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી છે,પરંતુ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પ્રદેશ અને હાઈકમાન્ડના વલણ સામે નારાજગી વ્યક્ત કરતા રાજકીય વમળો સર્જાયા છે.કોંગ્રેસના પ્રદેશ માળખાંના વધુ હોદ્દેદારોની જાહેરાત આગામી દિવસોમાં કરાશે.ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાં ૧૪૦થી વધુ હોદ્દેદારો સાથેના માલખાની અગાઉ જાહેરાત કરાઈ હતી.આગામી દિવસોમાં વધુ હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવશે.જેમાં પ્રવક્તા,ઉપપ્રમુખ,મહામંત્રી અને મંત્રી સહિતના વધુ હોદ્દેદારોની જાહેરાત થશે. જોકે,આ જાહેરાત સાથે જ કોંગ્રેસનું માળખું જમ્બો સ્વરૂપ લેશે.કોંગ્રેસના પ્રદેશના નેતાઓ સંગઠનમાં પોતાના માનીતાઓને હોદ્દા અપાવવા માટે સક્રિય થયા છે.