રાજકોટ, તા. ૫ : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્ય રાજીનામુ આપી પાર્ટીને આંચકો આપી રહ્યા છે.ગઈકાલે કરજણ અને કપરાડાના ધારાસભ્યએ રાજીનામુ આપ્યા બાદ આજે સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય રાજીનામાના માર્ગે હોવાનું જાણવા મળેલ છે.કોંગ્રેસને કમ્મરતોડ ફટકો લાગે તેવો ઘા કરવાની તૈયારીને ભાજપે આખરી ઓપ આપી દીધો છે.છેલ્લી ઘડીના કોઈ ફેરફાર ન થાય તો આજે સાંજ સુધીમાં જ ધડાકો થઈ જશે.
૨૦૨૦માં કોંગ્રેસના ૭ ધારાસભ્યો રાજીનામુ આપી ચૂકયા છે.હવે પછી જે રાજીનામા પડે તેટલી વધારાની બેઠકો ખાલી પડશે.આજે ભાજપે કોંગ્રેસના શિક્ષિત અને અભ્યાસુ ધારાસભ્ય તરફ નજર દોડાવી તેને ખેડવવામાં લગભગ સફળતા મેળવી લીધી છે.આ ધારાસભ્યનું પાટીદાર સમાજમાં પણ મોટુ નામ છે.રાજકોટ પંથકમાં તેનુ રાજકીય જોડાણ હોવાનું કહેવાય છે.જો તેઓ ભાજપમા જોડાઈ તો કોંગ્રેસને મોટી ખોટ પડે તેમ છે.તેઓ જાહેર જીવનના વર્ષોના અનુભવી છે.રાજ્યસભાની ચૂંટણીમાં ૩ બેઠકો જીતવા ભાજપે પયાપ્ત સંખ્યા બળ પ્રાપ્ત કરી લીધુ છે.ભાજપે હવે જે ઓપરેશન હાથ ધર્યુ છે તે ધારાસભ્યને રાજીનામા બાદ પેટાચૂંટણીમાં ફરી એ જ બેઠક પર ટીકીટ આપવાનું વચન અપાયાનું ચર્ચાય રહ્યુ છે.આ કથીત રાજીનામાની વાતે રાજકીય ગરમાવો વધાર્યો છે.
– ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામું
– સોનિયા ગાંધીને મેઈલ કરીને કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામું
– કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદથી રાજીનામું આપુ છું : મેરજા
કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યુ છે.બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.તેમણે સોનિયા ગાંધીને મેલ કરીને રાજીનામું આપ્યુ હતુ.જેમાં તેમણે જણાવ્યું હતુ કે હું કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદથી રાજીનામું આપુ છું.કોંગ્રેસની ગુજરાત પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા ધારાસભ્ય બ્રિજેસ મેરજા.
કોંગ્રેસમાંથી ગઈ કાલે કોણે આપ્યા રાજીનામાં
કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ રાજીનામું આપી દીધુ છે.આ અંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
અગાઉ કોંગ્રસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા
– ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા
– લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ
– અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
– ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ
– ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત
કોણ કોણ છે મેદાનમાં?
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે.સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે.ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે.આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે.જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ,રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે.આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.