ગાંધીનગરઃગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાપદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે.ધાનાણીની સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામું આપી દીધું છે.ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર લઇને દિલ્હી ઉપડી ગયાં છે.
આ વાતને સમર્થન આપતાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે,પેટાચૂંટણીના પરિણામ બાદ હાઇકમાન્ડ સમક્ષ રાજીમામું આપવાની રજૂઆત કરી હતી અને પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામુ આપ્યુ છે.કોંગ્રેસના બધાય ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ છે.હવે હાઇકમાન્ડ જે નિર્ણય લે તે અમને માન્ય હશે.
પરેશ ધાનાણીના સ્થાને વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર,પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે.આ ત્રણેય વરિષ્ઠ ધારાસભ્ય છે એ જોતાં ત્રણમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે.
લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. કોંગ્રેસ ખાતુ ય ખોલી શકી ન હતી.પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો હતો. આઠેય બેઠકોપર પરાજય થતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવા તૈયારી દર્શાવી હતી.અચાનક જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનુ અચાનક અવસાન થતાં વાત બાજુ પર મૂકાઈ ગઈ હતી પણ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી છે ત્યારે આ મુદ્દો ઉપસ્થિત થયો હતો.પ્રભારી રાજીવ સાતવ છેલ્લાં દસેક દિવસથી ગુજરાતમાં હતા.તેમણે પ્રદેશ કોંગ્રેસ સમિતી સાથે સતત ચૂંટણીલક્ષી બેઠકો કરી હતી.આ દરમિયાન હાઈકમાન્ડની મરજી જણાવતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લેખિતમાં રાજીનામુ આપી દીધુ હતું.
રાજીવ સાતવ પણ પ્રભારીપદ છોડી શકે
ગુજરાતમાં કોંગ્રેસની દશા માઠી બની છે કેમકે, પ્રભારી રાજીવ સાતવના વખતમાં જ કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યો કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યાં છે.તાજેતરમાં જ રાજ્યસભાની ચૂંટણી વખતે આઠ કોંગ્રેસી ધારાસભ્યોએ પક્ષ છોડી કેસરિયો ખેસ પહેર્યો હતો.કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં અમિત ચાવડા-પરેશ ધાનાણી જ નહીં,રાજીવ સાતવ પણ નિષ્ફળ રહ્યા હતાં.હવે જયારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામુ ધર્યુ છે ત્યારે આગામી દિવસોમાં રાજીવ સાતવ પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદેથી રાજીનામુ ધરી દે તેવી શક્યતા જોવાઇ રહી છે. હાઇકમાન્ડ સમક્ષ સાતવ પણ આ વાત રજૂ કરી ચૂક્યા હોવાની ચર્ચા છે.