– RSSને રાજકારણમાં નૈતિક રીતે સામેલ થવા આપી સલાહ
નવી દિલ્હી, તા. 11 : કેરળમાં કોંગ્રેસના એક ધારાસભ્યને રામ મંદિર નિર્માણ માટે ફાળો આપવો એટલો મોંઘો પડી ગયો કે તેમણે આ મામલે સફાઈ આપ્યા બાદ માફી પણ માંગવી પડી હતી.ધારાસભ્યે વીડિયો જાહેર કરીને પોતાને સેક્યુલર ગણાવ્યા હતા અને સાથે જ મુસ્લિમ સમાજની માફી માંગી હતી.સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)એ રામ મંદિર માટે ફાળો આપનારા કોંગ્રેસના આ ધારાસભ્ય એલ્ધોસ કુન્નાપિલ્લૈનું પૂતળુ પણ સળગાવ્યું હતું.
શું છે સમગ્ર કેસ
ધારાસભ્ય એલ્ધોસ કુન્નાપિલ્લૈએ 8 ફેબ્રુઆરીના રોજ RSSના કાર્યકરોને રામ મંદિર નિર્માણ માટે 1,000 રૂપિયાનું દાન આપ્યું હતું.ત્યાર બાદ તેમનો એક ફોટો ખૂબ વાયરલ થયો હતો જેમાં તે RSSના કાર્યકરોને મંદિર નિર્માણ માટે ફાળો આપતા દેખાયા હતા.આ ફોટોમાં તેમના હાથમાં રામ મંદિરની છબિવાળું એક કાર્ડ પણ પકડેલું હતું.જો કે બાદમાં પાર્ટીના દબાણમાં આવીને તેમણે માફી માંગી હતી અને RSS દ્વારા તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો.તેમણે પોતે રામ મંદિર માટે ફાળો ઉઘરાવાયો હોવાની વાતથી અજાણ હોવાનો પણ દાવો કર્યો હતો. જો કે તેમનો જે ફોટો વાયરલ થયો હતો તેમાં તેમના હાથમાં રામ મંદિરની છબિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. SDPIના કાર્યકરોએ એર્નાકુલમના વિવિધ વિસ્તારોમાં ધારાસભ્ય વિરૂદ્ધ પ્રદર્શન યોજીને નારાબાજી કરી હતી.
RSS દ્વારા ગેરમાર્ગે દોરાયાનો આક્ષેપ
પેરૂમ્બવૂરના ધારાસભ્ય કુન્નાપિલ્લૈએ જણાવ્યું કે, કેટલાક લોકોએ અમુક મંદિરો માટે દાન માંગવા તેમનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ RSSના હોવાનું અને રામ મંદિર માટે દાન લેવાતું હોવાનું છુપાવ્યું હતું.ધારાસભ્યએ ફેસબુક વીડિયોમાં જણાવ્યું કે,તેમણે કાર્યકરોને 1,000 રૂપિયા આપ્યા હતા પરંતુ બાદમાં તેઓ સૌને રામ મંદિર માટે ફાળો લેવાયો હોવાનું કહેવા લાગ્યા હતા. કુન્નાપિલ્લૈએ પોતાની જાતને ધર્મનિરપેક્ષ ગણાવીને RSSને રાજકારણમાં નૈતિક રીતે સામેલ થવાની સલાહ આપી હતી.સાથે જ તેમણે મુસ્લિમ સમાજની માફી માંગીને જો કોઈ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો RSSના પ્રોપેગેન્ડા સામે દુખ વ્યક્ત કર્યુ હતું.
આપ્યો સબરીમાલાનો હવાલો
ધારાસભ્યના કહેવા પ્રમાણે સબરીમાલાના વિરોધ વખતે તેઓ ભક્તો સાથે ઉભા હતા કારણ કે,તે તેમની પાર્ટીનું સ્ટેન્ડ હોવાનું તેઓ જાણતા હતા.વધુમાં જણાવ્યું કે,જ્યારે મોદી સરકારે CAA લાવ્યા બાદ મુસ્લિમોને દ્વિતીય શ્રેણીના નાગરિક બનાવવા પ્રયત્ન કર્યો ત્યારે તેઓ વિરોધ પ્રદર્શન અને વિવિધ મોરચામાં જોડાયા હતા.