અમદાવાદ : જાણીતી ટુર કંપની કાક્સ એન્ડ કીંગની પેટા કંપની પ્રોમેથોન એન્ટરપ્રાઇઝ લીમીટેડ દ્વારા યસ બેંક સાથે રૂપિયા ૧૧૦૮ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધવામાં આવી છે.જેમાં કંપનીના ત્રણ ડાયરેક્ટર્સ પૈકી બે ડાયરેક્ટર લંડન ખાતે રહે છે અને એક મુંબઇ ખાતે રહે છે.કંપનીએ લોનની ચૂકવણી ન કરતા બેંકમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો બનાવટી હોવાનું પણ બહાર આવ્યું છે.જેથી કોક્સ એન્ડ કંપનીની દ્વારા મોટા કૌભાંડની શક્યતાને આધારે સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.મુંબઇ ચાંદીવલી રાહેજા વિસ્ટામાં રહેતા સંદીપ મેહરા મુંબઇ સાંતાક્રુઝ ખાતે આવેલા યસ બેંક હાઉસ ખાતે ચીફ વીજીલન્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.તેમણે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ખાતે નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ ૨૦૧૭ના મે મહિનામાં કોક્સ એન્ડ કિંગ ગુ્રપની કંપની ઇઝી ગો વન ટ્રાવેલ્સ એન્ડ ટુર્સ દ્વારા લોનની માંગણી કરવામાં આવી હતી. જે મંજૂર કરવામાં આવતા કોક્સ એન્ડ કિંગની પેટા કંપની પ્રોમેથોન એન્ટરપ્રાઇઝ લીમીટેડના નામે રૂપિયા ૧૪૦૦ કરોડની લોનની માંગણી કરવામાં આવી હતી.જે લોન વર્ષ ૨૦૧૮માં ગીફ્ટ સીટી ખાતે આવેલી યસ બેંકની ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર ખાતેથી આ લોન મંજૂર કરવામાં આવી હતી.જેના નાણાં પ્રોમેથોન એન્ટરપ્રાઇઝ લીમીટેડની હોંગકોંગ ખાતે આવેલી એક્સીસ બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા.જો કે ૯૦િ દિવસ સુધી પેમેન્ટ ન થતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમોનું ઉલ્લંઘન થતા પ્રોમેથોન એન્ટરપ્રાઇઝના એકાઉન્ટને એનપીએ જાહેર કરાયું હતું.જે બાદ કંપનીની લંડન સ્થિત ઓફિસ પર વહીવટદાર મુકવામાં આવ્યા હતા અને કંપનીના દસ્તાવેજો અને લોન સમયે રજૂ કરવામાં આવેલા રિપોર્ટ તપાસ કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હત કે વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯નો નાણાંકીય રિપોર્ટ બનાવટી હતા.આ ઉપરાંત, કંપનીએ લોન લેતા સમયે જણાવ્યું હતું કે તે તેમના એજ્યુકેશન બિઝનેસનું વેચાણ કરીને જે નાણાં મેળવશે.તે નાણાં લોનના ચુકવણીમાં ઉપયોગ કરશે. પરંતુ, આ નાણાં અન્ય જગ્યાએ જમા કરાવ્યા હતા.આમ કંપનીની મુંબઇ બેક સ્ટ્રીટ ફોર્ટ ખાતેની ઓફિસમાં ફરજ બજાવતા અજય અજીત કેલકર, લંડન હ્યુઝ સ્ટ્રીટ ખાતેની પ્રોમેથોન કંપનીના એન્થોની બુટન મેરિક અને લંડન મીલબેંક ખાતે રહેતા અભિષેક ગોંયકાએ સાથે મળીને બેંક સાથે છેતરપિંડી કરવાના ઇરાદે લોન લઇને ૧૧૦૮ કરોડ રૂપિયાની ચુકવણી કરી નહોતી.જેથી આ અંગે બેક દ્વારા સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.જેમાં કંપની દ્વારા અન્ય બેંકો સાથે પણ છેતરપિંડીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.