સુડા/મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં “રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના ( NRCP ) હેઠળ તાપી નદીના પ્રદુષણ ઘટાડવાની અને સંરક્ષણની કામગીરી સંદર્ભે મહાનગરપાલિકા સમક્ષ રજુ થયેલા ટેન્ડરની કામગીરીમાં જ મોટું આર્થિક બોજ પડનાર છે.આ ટેન્ડરના પ્રક્રિયાના અંદાજો જે ખાતા દ્વારા તથા લાગત કન્સલ્ટન્ટ દ્વારા રજુ કરેલ છે તેની તપાસ, ટેન્ડરરની ટેન્ડર સંબંધિત લાયકાતો બાબતે રજુ કરેલા સંબંધિત પુરાવાઓની ઠેર ચકાસણી કરવી અને હાલમાં આ કામ મુલતવી રાખીને સમગ્ર ટેન્ડર પ્રક્રિયા,કન્સલ્ટન્ટ નવી નિયુકિત કર્યા બાદ જ આગળ ઘપાવવાની માગ કોંગ્રેસના કોર્પોરેટર વિજય પાનસેરિયાએ કરી છે.
સુરત શહેરની જીવાદોરી તાપી મૈયાના જળસ્તરમાં ગંદકી અને અન્ય કારણોસર ઘટાડો,તાપી નદીના જળમાં ઓક્સિજનની માત્રા ઓછી થવા સહિતના અનેક પ્રશ્નો ઉદભવતા જોવા મળી રહ્યાં છે.વિયર-કમ-કોઝવેના ઉપરવાસમાં જળકુંભીની સમસ્યા અને હેઠવાસમાં જળનું સ્તર નીચું જવાની સાથોસાથ તેને સંલગ્ન વિસ્તારોમાં જમીનના અંદરના ભાગે પાણીનું સ્તર નીચું અને પાણી ખારાશવાળું મળવાની સમસ્યા દિન-પ્રતિદિન વધતી જ જોવા મળી રહેલ છે.
આ સમસ્યાના નિવારણ અર્થે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના ( NRCP ) હેઠળ તાપી નદીના પ્રદુષણ ઘટાડવાની અને સંરક્ષણની કામગીરી અંગે કન્સલ્ટન્ટ નિયુકત કરીને ટેન્ડર પ્રક્રિયા કરીને ટેન્ડરો માંગવામાં આવેલા તે પૈકી જે અંદાજ સિવિલ,મીકેનીકલ,ઈલેકટ્રીકલ,ડેનેજ નળીકા નાંખવાના સહિતના તમામ કામો માટે જે તે ડાબે અને જમણે કાંઠાના કામો નિર્ધારિત છે.તેની ટેન્ડરના અંદાજોની રકમ કરતા નીચે જણાવેલ અલગ-અલગ મુદ્દાઓની હકીકતોને ધ્યાને રાખીને આ સમગ્ર કન્સલ્ટન્ટ નિયુકિત અને ટેન્ડરની કામગીરી દફરતે કરી નવા ટેન્ડરો કન્સલ્ટન્ટ નિયુકિતની કામગીરી કરી શહેરના બજેટ પર પડનારા મોટા આર્થિક સંકટમાંથી બચાવવાની કાર્યવાહી કરવા વિનંતી કરાઇ છે.
ટેનર આઈ.ડી.425686માં ટેન્ડરની અંદાજિત રકમ રૂ. 215,47,93,600ના 35.98 ટકા વધુ એટલે કે, રૂ. 293,01,36,659 જેટલી માતબર રકમ LI બિડરની મંજુર કરેલ છે તેમજ ટેન્ડર આઈ.ડી.425683માં ટેન્ડરની અંદાજિત રકમ રૂ.308,51,89,900ના 39.16 ટકા વધુ એટલે કે, રૂ. 429,33,83,563 જેટલી માતબર રકમ L1 બિડરની મંજુર કરેલ છે જે અંદાજો કરતા 200 કરોડ જેટલા વધુ છે જે જોતા મહાનગરપાલિકાને ખુબ જ મોટું આર્થિક નુકશાન પહોંચાડવા રચાયેલ સુવ્યવસ્તિ મસમોટું કૌભાંડ છે તેમજ શહેરના નાગરિકોના મહેનતના વેરાના પૈસાનો આ કામના ઈજારદારના લાભાર્થે બિનજરૂરી ખર્ચ કરાવી આ કોભાંડમાં અધિકારીઓની ભુમિકા પણ શંકાસ્પદ જણાય આવે છે.
સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ચોકકસ અનુભવ બાબતે આ કામના L1 બિકરો દ્વારા રજુ કરેલ ટેન્ડરની લાયકાતો સંબંધિત પુરાવાઓ પૈકી, NH3-N (એમોનોનિક નાઈટ્રોજન) ધરાવતા આઉટલેટ પરિમાણોનું પ્રમાણપત્રો,ઓપરેશન અને જાળવણી દરમ્યાન 7 વર્ષમાં STPની ઓછામાં ઓછી 75 ટકા ડિઝાઈન ફલો શ્રમતાનો સતત પ્રવાહ વિગેરે બાબતે સઘન ફેરચકાસણી કરવી અત્યંત જરૂરી જણાય છે.
CPHEEOના ધોરણો મુજબ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ/પાણી પુરવઠાના પ્રોજેકટના કામનો અનુભવ આ ટેન્ડર માટે અત્યંત જરૂરી છે જે બાબતે આ કામના L1 બિડર દ્વારા જે સમાન કાર્ય દર્શાવ્યું છે જે ખરા અર્થમાં CPHEEOના ધોરણો મુજબ છે ખરું ? કે તેમાં કોઈ વિસંગતતા રહેલી છે તે તપાસનો વિષય છે.
બીજી તરફ ટેન્ડર ભરનારી કંપનીઓ રીજીયન (વિસ્તાર) વહેંચીને રીંગ બનાવી ભાવ ભરતી હોવાથી (ઉ.દા…. તરીકે યુનિક-ગઢપુરે મુંબઈમાં કામ નથી લેવાનું પરંતુ તે ત્યાં ઉચો ભાવ ભરે એટલે એનવીરો-ખીલ્લારી તેનાથી થોડો નીચો ભાવ ભરીને મુંબઈનું કામ મેળવી લે અને એ જ રીતે ખલ્લારીને સુરતમાં કામ નથી લેવું પરંતુ 59 ટકા જેવો ઉંચો ભાવ ભરે,જેથી યુનિકનો 38 જેટલી માતબર ભાવ પણ વાજબી લાગે અને તે કામ મેળવી શકે. આમ કાર્ટેલ રચીને આવી સમજુતી સાથેની એકબીજાના હિતાર્થે એકબીજાના રીજીયનમાં ઓફર ભરે છે.) એ રીતે આ બંને ટેન્ડરોના ભાવ ભરવામાં આવ્યાં છે.
CPHEEOના ધોરણો, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના (NRCP) અને ટેન્ડર સ્પર્ધા અધિનિયમ- 2002ના તમામ માપદંડોની અવગણના કરીને L1 બિડરને અયોગ્ય રીતે હિતકારી કાર્ય તથા પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ટેન્ડરને આમંત્રિત કરનાર વિભાગ અને L1 બિડરે તેમના અંગત ફાયદા માટે ગેરકાયદેસર પ્રથામાં પ્રર્વશ કર્યો છે, જે સમગ્ર બાબતો મહાનગરપાલિકાને સીધી રીતે આર્થિક નુકશાન પહોંચાડનારી છે.
સામાન્ય રીતે ડ્રેનેજલાઈન નાંખવાના કામ 30થી 40 ટકા નીચા આવતા હોય છે પરંતુ આ કામ માટે ટેન્ડરના અંદાજોની લગોલગ ભાવ ભર્યા છે તેમજ આ કામના ટેન્ડરમાં સુએઝ પંપીગ સ્ટેશન (સીવીલ) વર્ક બનાવવા માટે અંદાજથી 2 ગણાથી પણ વધારે ભાવ ભર્યો છે જે બાબત આ કામના અંદાજ નકકી કરનારા તથા તે ભરનારા બંને પાસે સ્પષ્ટતા માંગવાની ફરજ પાડે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરવાનું હોવાની દલીલ સાથે ઉંચા ભાવ ભરવામાં આવેલ હોવાનું કહેવાય રહ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે,ખર્ચ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં વધારે થાય નહિ કે,અંતરિયાળ વિસ્તારમાં, આમ અંતરિયાળ વિસ્તારોમાં માત્ર ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જ વધતો હોય છે તેમ છતાં પણ આ કામ કામરેજ, ખોલવાડ જેવા શહેરની બાજુના જ વિસ્તારોમાં કરવાનું થાય છે જે કોઈ પણ પ્રકારે અંતરિયાળ વિસ્તાર નથી જે અધિકારીઓ સમજી ન શકે એ નવાઈ પમાડે એવી વાત છે.
એક હકીકત એવી પણ છે કે, હજી આ કામ સંબંધિત જગ્યાઓ પૈકી માત્ર 10 થી 15 ટકા જેટલી નજીવી જમીનનો જ કબજો મળેલ છે તથા અન્ય જમીન માટે કલેકટર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે,પરંતુ રાજય સરકાર તરફથી એ બાબતે નિર્ણય લેવામાં આવેલ નથી.એટલે હમણાં ટેન્ડર મંજુર કરાવીને પછી કામ મોડું શરૂ થાય થાય તો ફરી પાછળથી આ કામના ઈજારદારના લાભાર્થે ભાવ વધારાની માંગણી રજુ કરાવી તેને મંજુરી કરાવી પાલિકાને આર્થિક નુકશાન પહોંચાડવામાં આવશે તેવી પુરેપુરી શકયતાઓ રહેલી છે. ઉ.દા. પાલ ઉમરા બ્રિજની જમીનનો કબજો મેળવ્યા વગર ઉતાવળે શરૂ કરેલી બીજની કામગીરી આજદિન સુધી પુરી કરી શકાય નથી તેમ સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર વિજય પાનસેરિયાએ રજૂઆત કરી છે.