મુંબઇ : કોરોના વાયરસની મહામારીને ફેલાતી રોકવા માટે મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનથી ભારતીય અર્થતંત્રને મરણતોલ ફટકો પડ્યો છે અને તે અંગે ચિંતાજનક ભવિષ્યવાણીઓ વિવિધ વૈશ્વિક એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે.રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસના અંદાજ મુજબ વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં ઘટાડો જોવા મળી શકે છે.આવું છેલ્લા ચાર દાયકામાં પ્રથમવાર હશે જ્યારે કોરોના વાયરસની મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનના લીધે વપરાશમાં ઘટાડો અને વેપારી પ્રવૃત્તિઓ અટકી જવાના પડકારોનો સામનો કરી રહેલી સ્થાનિક અર્થવ્યવસ્થાના વિકાસદરમાં ઘટાડો જોવા મળશે.
મૂડીઝના મતે કોરોના વાયરસના સંકટ પહેલા જ ભારતના આર્થિક વિકાસદરની ગતિ ધીમી પડી ગઇ હતી અને તે છેલ્લા છ વર્ષની સૌથી નીચી સપાટીએ ઉતરી ગઇ હતી.સરકાર દ્વારા આર્થિક પ્રોત્સાહન પેકેજમાં લેવાયેલા પગલાં અપેક્ષાઓને સંતોષી શક્યા નથી,અર્થવ્યવસ્થાની સમસ્યા તેના કરતા ઘણી વ્યાપક અને ગંભીર છે.
મૂડીઝે પોતાના રિપોર્ટમાં કહ્યુ કે,હવે અમારો અંદાજ છે કે નાણાં વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થાના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રેટમાં વાસ્તવિક ઘટાડો આવશે.આની પહેલા અમે વિકાસદર શૂન્ય રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.અલબત મૂડીએ વર્ષ 2021-22માં દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરી છે.જે અગાઉ જાહેર કરાયેલા 6.6 ટકાના વૃદ્ધિદરના અંદાજથી પણ મજબૂત રહી શકે છે.
રિપોર્ટમાં જણાવ્યુ છે કે કોવિડ-19 લોકડાઉનની ભારતીય અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડવાની સંભાવના છે.જે જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોને પ્રભાવિત કરશે.ઉલ્લેખનિય છે કે દેશમાં 25 માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત કરાઇ હતી અને તે ચાર તબક્કામાં વધારીને હાલ 31મી મે સુધી લંબાવવામાં આવ્યુ છે.હાલ દેશમાં લોકડાઉન-4નો તબક્કો ચાલી રહ્યો છે.
લોકડાઉનથી ખાસ કરીને અસગંઠિત ક્ષેત્રની સામે મોટુ સંકટ ઉભુ થયુ છે.આ સેક્ટરનું જીડીપીમાં અડધાથી વધારે યોગદાન છે.આર્થિક પ્રોત્સાહન પેકેજ અંગે મૂડીઝે કહ્યુ કે,સરકારનું પ્રત્યક્ષ રીતે રાજકોષીય પ્રોત્સાહન પેકેજ જીડીપીના 1થી બે ટકાના દાયરામાં રહી શકે છે.સરકારની મોટાભાગની યોજનાઓ લોન ગેરંટી કે પ્રભાવિત ક્ષેત્રોની રોકડ ચિંતાને દૂર કરવા સંબંધિત છે.તેણે કહ્યુ કે,પ્રત્યક્ષ રીતે નાણાં ખર્ચનું પ્રમાણ અમારી અપેક્ષા કરતા ઘણું ઓછુ છે અને તેનાથી વિકાસને વધારે વેગ મળવાની સંભાવના પણ ઓછી છે.