નવી દિલ્હી : હજુ એ દિવસો ભુલાયા નથી કે ભારતમાં સરેરાશ પરિવારમાં કોઈને કોઈ વ્યક્તિ માટે હોસ્પીટલ બેડ,ઓકસીજન સીલીન્ડર,રેમડેસીવીર શો શોધવા માટે લોકો દોડાદોડી કરતા હતા અને તગડા બિલ સહિતના ખર્ચની તેમની નાણાકીય ક્ષમતા પણ જવાબ દેવા લાગી હતી અને આ સ્થિતિ સરેરાશ ભારતીયોની બચત કે કટોકટીનું ફંડ ખેચી ગઈ છે અને દેવાની સ્થિતિમાં મુકી દીધા છે.એ વાસ્તવિકતા છે કે સરેરાશ ભારતીય માટે આરોગ્ય પરનો ખર્ચ તેની પહોંચ બહારનો રહ્યો છે.ભારતમાં ગંભીર સહિતના દર્દી માટે સરકારી સારવાર વ્યવસ્થા ટુંકી પડી રહી છે અને મેડીકલેમ જેવી વિમા સુરક્ષા પણ હજું બહુ મર્યાદીત વર્ગને માટે પોષાય તેવી છે.
આ સ્થિતિમાં સરેરાશ ભારતમાં 65% એવા છે જે આરોગ્ય પાછળ તેની ખુદની કમાણીનો
ખર્ચ કરે છે.ચીનમાં આ પ્રમાણ 35% જ છે અને થાઈલેન્ડમાં ફકત 10% લોકો જ ખુદના નાણામંત્રી આરોગ્ય પાછળ ખર્ચ કરે છે.ભારતમાં સરકારની આવકનો ફકત 1% રકમ આરોગ્ય સુવિધા પાછળ ખર્ચ કરવા જે કમ સે કમ 3% હોવો જોઈએ.દેશની ટોચની રાષ્ટ્રીયકૃત બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાનો રીસર્ચ રીપોર્ટ કહે છે કે આ સ્થિતિમાં કોરોના ભારતના સરેરાશ મધ્યમવર્ગ અને તેની આસપાસના વર્ગને વધુ ગરીબ બનાવ્યા છે. ભારતમાં 2019-20ના વર્ષમાં તબીબી સુવિધા અને મેડીકલ ઉપકરણોની કિંમત વધી ગઈ છે અને સરેરાશ દરેક કુટુંબને કોવિડના કારણે સરેરાશ રૂા.15000નો વધારાનો ખર્ચ કરવો પડયો છે.કારણ કે તબીબી સેવા અને સાધનો મોંઘા બન્યા છે જેઓને કોરોનામાં હોસ્પીટલમાં જવાની ફરજ પડી છે તેના માટે દવાનો વધેલો ભાવ હોસ્પીટલ ચાર્જ તથા રૂમ ચાર્જ વિ. વધ્યા છે.ઉપરાંત તબીબી વિઝીટ અને પીપીઈ કીટ જેવા ખર્ચ પણ દર્દી પર આવ્યા છે અને એક અંદાજ મુજબ કોરોના સંક્રમીત થયેલા કુલ લોકો વધી 30%ને હોસ્પીટલમાં જવાની જરૂર પડી છે અને તેમાં ખાનગી હોસ્પીટલમાં ગયેલા 30%નો જો ખર્ચ ગણીએ તો સરેરાશ બિલીંગ રૂા.1.50 લાખ આવ્યું છે અને આ રીતે રૂા.35000 કરોડ ફકત હોસ્પીટલ ખર્ચ પેટે ચૂકવાયા છે.
ઉપરાંત કોરોના લોકડાઉન વિ.ના કારણે વ્યવસાય સેવા- રોજગારી પર મોટો ફટકો પડયો છે. 2020-21માં ભારતની સરેરાશ માથાદીઠ આવક રૂા.8637 ઘટી છે. (2019-20ની સરખામણીએ) ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા અને સ્વરોજગારી ધરાવતા અને અસંગઠીત ક્ષેત્રના લોકોની આવક પર મોટી અસર થશે અને આ અંદાજ મુકીએ તો એકંદરે રૂા.16000 કરોડનો રોજગારી લોસ થયો છે. આમ કુલ ખર્ચ વધઘટને આવક ઘટાડાની રૂા.66000ની રકમ ધોવાઈ છે.
ભારતમાં 2019-20માં હેલ્થકેર પાછળ રૂ.69555 કરોડનો ખર્ચ થયો જેના 11% રકમ આ રીતે ઘટી છે.સરકારના ડેટામાં ગ્રાહક ફૂગાવો છૂટક ફૂગાવો ઘટયો તેવા દાવા કરે છે પણ તે ફકત આંકડાની રમત છે.સરકાર જે ખર્ચ ગણતી નથી તેવા એકસરે, ઈસીજી લેબ ખર્ચ લોકોના વધ્યા છે તેનો કોઈ ઉલ્લેખ થતો નથી.લોકોને આરોગ્ય પાછળ વધુ ખર્ચ કરવો પડયો તેનાથી જે સ્વૈચ્છીક ખર્ચ,કપડા,મનોરંજન,રેસ્ટોરા,પ્રવાસન વિ. ખર્ચ હતો તે ઘટાડવો પડયો છે.સરકાર ફૂગાવો ગણતરીએ આ ખર્ચ ગણતી જ નથી.લોકોને ફરજીયાત ખર્ચ,ઈંધણ તો પણ વધી ગયા છે.
કયા કેવી રીતે નાણાં ગુમાવ્યા
* દવા, ઈસીજી સહિતના લેબ ટેસ્ટમાં ભાવ વધારાથી રૂા.15000 કરોડનો ખર્ચ વધ્યો
* કોરોના સંક્રમીતમાં સરેરાશ 30% ખાનગી હોસ્પીટલમાં ગયા: સારવાર ખર્ચમાં રૂા.35000 કરોડનો ડામ
* લોકડાઉન-રોજગારીમાં ઘટાડા-પગાર કાપ વિ.ની રૂા.16000 કરોડની આવક ગુમાવી
ઈ-કોમર્સ કંપનીઓએ પણ કમાણી કરી
દેશમાં કોરોના લોકડાઉન વિ. સ્થિતિના કારણે એક વિશાળ વર્ગ બજારમાં જવાનું ટાળીને ઓનલાઈન ખરીદીને પ્રાધાન્ય આપ્યું અને જેમાં ફકત કીરાના જ નહી કપડાથી ઈલેકટ્રોનીક ગેજેટનો પણ સમાવેશ થાય છે પણ કોરોના કાળનો મોટો ફાયદો ઉઠાવતા ઈ-કોમર્સ કંપનીઓએ તેના ડીસ્કાઉન્ટ બંધ કરી ખાદ્ય સહિતની ચીજવસ્તુઓમાં મોટા પેકીંગ જ ઉપલબ્ધ બનાવીને તેની કમાણી વધારી છે.અગાઉ એમઆરપી કરતા અનેક ગણા ઓછા ભાવ ઓફર કરતી કંપનીઓએ હવે તેના એમઆરપી છાપીને મોટી કમાણી કરી છે.